સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર અને સ્માર્ટ સિટી રાજકોટ મહાપાલિકાના શાસનની ધૂરા આગામી સમયમાં કોણ સંભાળશે તે માટે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. 18 વોર્ડની 72 બેઠક માટે આગામી 26 એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે શહેરના 51 વર્ષના રાજકીય ઇતિહાસના પાના ઉથલાવીએ તો એક રોચક ચિત્ર સામે આવે છે. છેલ્લા પાંચ દાયકામાં રાજકોટની પ્રજાએ કેસરિયા પક્ષ પર અતૂટ વિશ્વાસ મૂક્યો છે. કુલ 8 ચૂંટણીમાંથી 7 વાર ભાજપે ભવ્ય વિજય મેળવી 46 વર્ષ શાસન કર્યું છે, જ્યારે કોંગ્રેસ માત્ર એક ટર્મ (5 વર્ષ) સત્તા ભોગવી શકી છે. આગામી ચૂંટણીમાં ભાજપના ગઢમાં ગાબડું પાડવા કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી (AAP) પણ એડીચોટીનું જોર લગાવી રહી છે.
1981થી 1987: એક બેઠકની પાતળી બહુમતી અને નૈતિકતાનો જંગબીજી ચૂંટણી 1981માં યોજાઈ હતી. દુષ્કાળ જેવી કપરી પરિસ્થિતિને કારણે આ શાસનની મુદત લંબાઈ હતી. આ જંગ અત્યંત રસાકસીભર્યો રહ્યો હતો, જેમાં 51 બેઠકમાંથી ભાજપને 26 અને કોંગ્રેસને 25 બેઠક મળી હતી.
માત્ર એક બેઠકની બહુમતી હોવા છતાં ભાજપે મક્કમતાથી શાસન સંભાળ્યું હતું. આ ગાળામાં અરવિંદભાઈ મણિયાર અને વજુભાઈ વાળાએ મેયર તરીકે જવાબદારી નિભાવી હતી. પક્ષપલટાની રાજનીતિ વચ્ચે સ્વ.ચીમનકાકા ત્રિકોણબાગે કરેલા ઉપવાસે નૈતિકતાના ધોરણો સ્થાપ્યા હતા.
1995: 60માંથી 59 બેઠક સાથે ભાજપનો અશ્વમેધ રથરાજકોટના ઇતિહાસમાં 1995નું વર્ષ ઐતિહાસિક રહ્યું. આ ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસનો સફાયો કરી નાખ્યો હતો. 20 વોર્ડની 60 બેઠકમાંથી ભાજપને 59 બેઠક મળી, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 1 બેઠક આવી હતી.