અમદાવાદના ચાંદખેડાના મારુતિ પ્લાઝામાં ઢોસા ખાધા બાદ બે બાળકી(રાહા અને મિશ્રી)નાં શંકાસ્પદ મોત થવાની ઘટનામાં રોજ નવા નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે. હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકીના પિતા વિમલ પ્રજાપતિ અને માતા ભાવનાના બ્લડ રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ નામનું ઝેરી તત્ત્વ મળ્યું હતું.
પોલીસે ભાવનાની ઘરે તપાસ કરતા ત્યાંથી એક ડાયરી મળી છે, જેમાં પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હોવાનો ઉલ્લેખ મળી આવ્યો છે. તેમજ શિવ મંદિરની માનતા રાખી હતી. તેને મિશ્રી નામની એક પુત્રી હતી અને બીજી દીકરીનો પણ જન્મ થયો એ પહેલાની આ ડાયરી છે.આ કેસમાં પારિવારિક ઝગડા,આર્થિક સંકડામણ, પુત્ર પ્રાપ્તિની ઈચ્છા કે અન્ય કોઈ કારણ હોય શકે છે.
બપોર બાદ બાળકીઓના પિતા વિમલ પ્રજાપતિને કે.ડી હોસ્પિટલમાંથી રજા આપતા ચાંદખેડા પોલીસ દ્વારા પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.
પોલીસ પૂછપરછ દરમિયાન બાળકીઓના પિતાનું બીપી હાઈ થઈ જાય છે. પોલીસને પરિવાર પર જ શંકા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. વર્ષ 2024માં બાળકીઓના પિતા મુંબઈ મોડેલિંગ માટે નીકળ્યો હતો.
ઘર કંકાસ અને ખીરાના એંગલથી તપાસ આ અંગે ચાંદખેડા PI જયેશ મકવાણાએ જણાવ્યું કે, વિસેરાનો રિપોર્ટ આવવાનો બાકી છે. તેમજ કેડી હોસ્પિટલમાંથી માતા-પિતાના બ્લડ સેમ્પલ લઈ NFSUમાં મોકલવામાં આવ્યા હતા. ત્યાર બાદ બ્લડમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ અને ઝીંકની હાજરી મળી હતી. કયા કારણોસર તેની માત્રા વધારે છે તે બાબતે પણ ડોક્ટરનો અભિપ્રાય મેળવી આગળની તપાસ કરાશે.
ઘનશ્યામ ડેરીના કર્મચારીઓ અને માલિકના નિવેદનો પરથી ફલિત થાય છે કે ખીરું ખાવાથી કોઈ આડઅસર થઈ નથી. ખીરાથી અસર થઈ છે અથવા તો ઘરમાં કોઈ સમસ્યાના કારણે આ પગલું ભર્યું છે તે બન્ને એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. ઘરના સદસ્યોમાં બાળકીઓના દાદા ગૌરીશંકરજી અને દાદી કુસુમ તેમજ તેના વેવાઈ એમ તમામની પૂછપરછ ચાલુ છે. FSLનો રિપોર્ટ આવ્યા બાદ જ બાળકીના મોત કયા કારણોથી થયું તે સ્પષ્ટ થશે.