રાજકોટના સદભાવના ગ્રૂપ દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે ‘મહારુદ્ર વૃક્ષારોપણ અભિયાન’ ચાલી રહ્યું છે જે અંતર્ગત આગામી 2045 સુધીમાં સમગ્ર દેશમાં 150 કરોડ વૃક્ષનું વાવેતર કરી ગ્રીન ઇન્ડિયા બનાવવાનું અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આગામી એક વર્ષમાં 2 કરોડ અને 2030 સુધીમાં ગુજરાતમાં કુલ 15 કરોડ વૃક્ષના વાવેતરનો સંકલ્પ સંસ્થાના સંચાલકોએ કર્યો છે. આ મિશન પૂરું કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે.
હાલમાં સમગ્ર રાજ્યના 30 જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1.40 કરોડ વૃક્ષનું વાવેતર પૂર્ણ કરી લેવામાં આવ્યું છે અને તેની જાળવણી માટે ડિજિટલ પદ્ધતિથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
‘વન પંડિત’ એવોર્ડથી સન્માનિત સદભાવના વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી વિજય ડોબરિયાએ જણાવ્યું હતું કે, વૃક્ષારોપણનો પ્રથમ વિચાર 2014માં આવ્યો હતો અને મારા વતન પડધરી તાલુકાના ફતેપર ગામને હરિયાળું બનાવવાનો નિર્ણય કરી 5 જૂન 2014થી અભિયાનનો પ્રારંભ કર્યો હતો.