રાજકોટ-મોરબી હાઈ-વે પર કાગદડી અને હડાળાના પાટિયા વચ્ચે અજાણ્યા વાહને અડફેટે લેતા 53 વર્ષના પ્રૌઢનું ઘટનાસ્થળે ગંભીર ઈજા થવાથી મોત નીપજ્યું હતું. અને તેમની 4 વર્ષની પૌત્રીને માથામાં ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે.
હડાળા ગામે મથુરા સોસાયટીમાં રહેતા સોહિલ દાઉદભાઈ સાળે પોલીસમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, જંગલેશ્વરમાં ડિમોલિશન બાદ હડાળા ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા અને ગુરુવાર સાંજે તેમના પિતા રાબેતા મુજબ ફરિયાદીની ભત્રીજી અસનુર (ઉ.વ.4)ને હિંચકા-લપસિયા ખવડાવવા લઈ જતા હતા ત્યારે અજાણ્યા વાહને ફરિયાદીના પિતાના મોટરસાયકલને અડફેટે લેતા દાદા-પૌત્રીને ગંભીર ઈજા થઈ હતી. અને રસ્તા પર ટોળાં એકઠાં થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત દાદા-પૌત્રીને 108માં સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે દાઉદભાઈને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ઈજાગ્રસ્ત અસનુર અમીનભાઈની હાલત પણ ગંભીર હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું હતું.