ગુજરાતામં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી છે. કોંગ્રેસ, ભાજપ અને આપ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ચૂકી છે. ત્યારે લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી આજે (23 માર્ચ 2026) ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.
અંબાજીથી ઉમરગામ સુધી આવેલા આદિવાસી પટ્ટા ઉપર આદિવાસીઓના અધિકારો માટે લડતા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, સમાજના ઉત્થાન માટે કામ કરતા લીડરો અને પ્રબુધ્ધ નાગરિકો સાથે રાહુલ ગાંધી આજે વડોદરામાં સંવાદ કરશે.
આદિવાસી આગેવાનો અને NGO સાથે ચર્ચા કરશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બપોરે 2 વાગ્યે વડોદરા એરપોર્ટ પહોંચશે, જ્યાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનો તેમનું સ્વાગત કરશે. ત્યાર બાદ બપોરે 3 વાગ્યે આજવા ચોકડી પાસે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી અંદાજે 1500થી વધુ આગેવાનો જોડાય તેવી શકયતા છે.
આ કાર્યક્રમમાં આદિવાસી વિસ્તારમાં કામ કરતી એનજીઓ, આદિવાસી આગેવાનો અને સેવાભાવી સંસ્થાઓના આગેવાનો, યુવાનો, મહિલાઓ, કાર્યકરો તેમજ લોકો ઉપસ્થિત રહેશે. ઉપરાંત આદિવાસીઓના અધિકારો તેમજ તેઓ સામેના અન્યાય અંગેના મુદ્દાઓ ઉપર સભા સંબોધિત કરશે. ચૂંટણી પહેલા કોંગ્રેસના કાર્યકરોમાં નવો ઉત્સાહ ભરવા માટેનો આ પ્રયાસ છે.
‘ગુજરાતના આદિવાસીઓ સાથે ઓરમાયા વર્તનનો આક્ષેપ’ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, દેશમાં લોકોના સંવિધાનના અધિકારો છીનવાઈ રહ્યા છે. ચારેતરફથી અતિક્રમણ થઈ રહ્યું છે. સરકાર રક્ષણ કરવાના બદલે સમર્થન કરી રહી છે. આદિવાસી સમાજના જળ, જંગલ જમીનના અધિકારો છીનવાઈ રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં આજે પણ માળખાકીય સુવિધાનો અભાવ જોવા મળે છે.