રાજકોટમાં મોંઘાદાટ વેંચાતા પીવાનાં પાણીમાં ભેળસેળ થતી હોવાની માહિતી મળતા મનપાનો ફૂડ વિભાગ પણ ચોંકી ઉઠ્યો હતો. તેમજ આરોગ્ય માટે નુકસાનકારક મિનરલ વોટરનું વેચાણ અટકાવવા ફૂડ શાખા દ્વારા ખાસ ડ્રાઇવ ચાલુ રાખવામાં આવી છે. જે અંતર્ગત 2 દિવસમાં કિસાનપરા અને જાગનાથ પ્લોટ વિસ્તારમાં આવેલી એજન્સીઓમાંથી દાવત, બિસ્લેરી વેદિકા, ક્લિયર અને ઇન્ડિપેન્ડન્સ જેવી જાણીતી બ્રાન્ડના પેકેજડ ડ્રિંકિંગ વોટરના નમુના લેવામાં આવ્યા છે.
વગર નોંધણીએ નળ કે બોરના પાણીનું પણ પેકિંગ કરી વેચાણ થતું હોવાની આશંકાએ મહાવીર એજન્સી, અંબિકા એન્ટરપ્રાઇઝ અને SSDN ગ્લોબલ ટ્રેડિંગમાં તપાસ હાથ ધરાઈ હતી. અગાઉ બ્રાન્ડેડ પાણીમાં બેક્ટેરિયા મળતા નમુના ફેઈલ ગયા હોવાથી, આ રિપોર્ટ બાદ કડક કાર્યવાહી કરાશે. બીજી તરફ, ફૂડ વિભાગની ટીમે મોબાઈલ સેફ્ટી વાન સાથે બજરંગવાડી તેમજ મોચી નગર રોડ ઉપર 24 ધંધાર્થીઓની તપાસ કરી હતી. સ્થળ પર 24 નમુનાની ચકાસણી કરી લાઇસન્સ બાબતે બેદરકારી બદલ હિન્દ બેકરી, જય સોમનાથ પૂરી શાક, ખોડિયાર ફાસ્ટફૂડ અને રાધે ફરસાણ સહિત કુલ 12 વેપારીઓને નોટિસ પણ ફટકારવામાં આવી હતી.