મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના મૃત્યુના કેસમાં એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ જણાવ્યું છે કે ક્રેશ થયેલા વિમાનના બંને ફ્લાઇટ રેકોર્ડર (બ્લેક બોક્સ) આગમાં ભસ્મીભૂત થઈ ગયા હતા.
એજન્સીના જણાવ્યા અનુસાર, એક રેકોર્ડરનો ડેટા ડાઉનલોડ થઈ ચૂક્યો છે. બ્લેક બોક્સ બનાવનાર દેશ અમેરિકા પાસેથી મદદ માંગવામાં આવી છે. બ્લેક બોક્સ બળી જવાના દાવા પર NCP (શરદ)ના ધારાસભ્ય અને અજિત પવારના ભત્રીજા રોહિત પવારે કહ્યું કે બ્લેક બોક્સ ભીષણ આગ અને ધડાકાઓથી સુરક્ષિત રહી શકે છે, પરંતુ મહારાષ્ટ્રની રાજનીતિથી નહીં.
પુણે જિલ્લાના બારામતીમાં 28 જાન્યુઆરીના રોજ NCP નેતા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી સહિત 5 લોકોના મોત થયા હતા. 2 ફેબ્રુઆરીના રોજ રોહિત પવારે આરોપ લગાવ્યો હતો કે તેમના કાકાના મૃત્યુમાં ષડયંત્ર થયું છે. આ મામલાની નિષ્ણાત એજન્સીઓ તપાસ કરે.