રાજકોટ સહિત 5 જિલ્લાના અઢી લાખ વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કાયમી પરીક્ષા નિયામક મળતા નથી. યુનિવર્સિટી દ્વારા પરીક્ષા નિયામકની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જોકે, તેમાં આ જ યુનિવર્સિટીના એક વહિવટી અધિકારી લાયક ઠર્યા હતા. જોકે તેમણે અરજી પરત ખેંચી લેતા હવે ફરી વખત એડવર્ટાઇઝમેન્ટ આપવામાં આવશે. જેથી કહી શકાય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કાયમી પરીક્ષા નિયામક મળતા નથી. જેને લીધે વારંવાર પરીક્ષામાં છબરડાઓ સામે આવે છે.
આ ઉપરાંત યુનિવર્સિટીના NAAC એક્રેડિયેશનમાં સારા પરફોર્મન્સનો આધાર જેના પર રહેલો છે એવા IQAC તેમજ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા CCDC સેન્ટરના કો-ઓર્ડીનેટર માટે થયેલી અરજીમાં એક પણ ઉમેદવાર લાયક ન ઠરતા હવે રિ-સ્ક્રુટીની કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા 10 વર્ષથી પરીક્ષા નિયામકની જગ્યા ખાલી હતી. જેના પર 2 વર્ષ પહેલા અહીંના ગ્રંથપાલ નિલેશ સોનીની કાયમી પરીક્ષા નિયામક તરીકે ભરતી કરવામાં આવી હતી. જોકે, તેમની સળંગ નોકરી ન ગણાતા તેમને રાજીનામું આપી દીધું હતુ. જે બાદ 13 સપ્ટેમ્બર, 2024ના કાયમી પરીક્ષા નિયામકની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જે બાદ 1 એપ્રિલ, 2025ના એલિજીબલ અને નોટ એલીજીબલ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું.