રાજકોટમાં આજે બપોરના સમયે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનની હડફેટે ત્રણ વ્યક્તિઓ આવી ગયા હતાં. ભક્તિનગર અને રિબડા રેલવે સ્ટેશન વચ્ચે આવેલા માલધારી ફાટક નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એકનું સારવાર દરમિયાન મોત નીપજયું છે એન એકને ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે રેલવે તંત્ર અને સ્થાનિક પોલીસમાં દોડધામ મચી ગઈ હતી અને લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયાં હતાં.
પ્રત્યક્ષદર્શી કુલદીપ કોહરીએ જણાવ્યું હતું કે, સેલ્ફી લેવાના ચક્કરમાં અકસ્માત સર્જાયો હતો. અમે સાંજે 4 વાગ્યે રૂમ પરથી નીકળ્યા હતા. મારી સાથે અન્ય મિત્રો સંદીપ કોહરી, સંદીપ પટેલ અને કપિલ પટેલ પણ હતા. તેઓ એક મિત્રને મૂકવા માટે જઈ રહ્યા હતા ત્યારે રેલવે લાઈન પાસે ફોટા અને સેલ્ફી લેવાનું નક્કી કર્યું હતું. જ્યારે તેઓ ટ્રેક પાસે સેલ્ફી લઈ રહ્યા હતા, ત્યારે અચાનક સામેથી ટ્રેન આવી ગઈ હતી.