રાજકોટ અને સૌરાષ્ટ્રના મુસાફરોની લાંબા સમયની માગણીને સ્વીકારીને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા રાજકોટથી ગાંધીનગર વચ્ચે નવીન એ.સી. સીટર બસ સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તા.20 જાન્યુઆરીને મંગળવારથી આ સેવાનો પ્રારંભ કરાશે.
રાજકોટથી આ બસ દરરોજ સાંજે 16.00 કલાકે ઉપડશે અને રાત્રે 21.00 કલાકે ગાંધીનગર પહોંચશે. વળતી મુસાફરીમાં, ગાંધીનગરથી સવારે 7 કલાકે ઉપડીને બપોરે 12.30 કલાકે રાજકોટ પરત આવશે.
આ લક્ઝુરિયસ મુસાફરી માટે મુસાફરોએ માત્ર રૂ.452નું ભાડું ચૂકવવાનું રહેશે. આ નવીન એ.સી. બસ સર્વિસનો પ્રારંભ ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહના હસ્તે કરાશે. ફ્લેગ ઓફ કાર્યક્રમ મંગળવારે સાંજે 16 કલાકે ઢેબર રોડ પર આવેલા એસ.ટી. બસપોર્ટ ખાતે યોજાશે.
આ નવી એ.સી. સીટર બસ સેવા માટે એસ.ટી. નિગમ દ્વારા સ્પર્ધાત્મક ભાડું નક્કી કરાયું છે. આ બસ ચોટીલા હાઈવે, સાયલા, લીંબડી, બગોદરા, ઇસ્કૉન, નેહરુનગર અને રાણીપ થઈને ગાંધીનગર પહોંચશે.
10 વોલ્વો, 20 AC સીટર અને 21 ઈલેક્ટ્રિક બસ દોડે છે રાજકોટ એસ.ટી. તંત્ર મુસાફરોને શ્રેષ્ઠ સુવિધા આપવા માટે અનેક પ્રીમિયમ સેવાઓ ચલાવી રહ્યું છે જેમાં 10 વોલ્વો સીટર બસ દ્વારા અમદાવાદ, બરોડા, ભુજ અને નાથદ્વારા જેવા રૂટ આવરી લેવાયા છે. 20 એ.સી. સીટર બસ ભાવનગર, દીવ, દ્વારકા અને અંબાજી જેવા વિવિધ 21થી વધુ રૂટ પર કાર્યરત છે.