રાજકોટના કાલાવડ રોડ પર આવેલી વામ્બે આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા યુવાન રાજુ કૃષ્ણભાઈ ટમટા ગઈકાલે ઘરે જ હતા ત્યારે અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા, જે બાદ તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબે તપાસ કરીને યુવાનનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું, જેનાથી પરિવારજનો શોકમાં ડૂબી ગયા છે.
મૃતક રાજુ ટમટા મૂળ નેપાળના વતની હતા અને પરિવાર સાથે રાજકોટમાં રહેતા હતા. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, તેમના નાના ભાઈ જોગીયા કૃષ્ણભાઈ ટમટા વતન નેપાળમાં જઈને પરત ફરી રહ્યા હતા ત્યારે જયપુર પહોંચતાં તેમને છાતીમાં દુઃખાવો થયો હતો અને ત્યાંની હોસ્પિટલમાં હૃદયરોગના હુમલાથી તેમનું મોત નીપજ્યું હતું. નાના ભાઈના અકાળ મૃત્યુના સમાચાર સાંભળીને મોટા ભાઈ રાજુ ટમટાનું હૃદય બેસી ગયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ પરિવારજનોમાં બેવડો શોક ફેલાવી દીધો છે.