આત્મહત્યાના વધુ બે બનાવ બન્યા છે. જેમાં કાલાવડ રોડ ક્રિષ્ના પાર્કમાં રહેતા 19 વર્ષીય યુવાને એસિડ પી લેતાં તેનું મોત થયું હતું. જ્યારે બીજા બનાવમાં જામનગર રોડ સૂર્યકાંત હોટેલ જલારામ મંદિર પાસે રહેતા 27 વર્ષના મહિલાએ ઘરે ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ, કાલાવડ રોડ ક્રિષ્ના પાર્ક પુષ્કરધામ મેઇન રોડ પર રહેતા સુનિલ કરણરાય ચાવડા(ઉ.વ.19) નામના યુવાને સોમવારે રાતે પોણા બે વાગ્યા આસપાસ ઘરે હતો ત્યારે કોઇ કારણોસર દવા પી લેતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થતાં પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ દ્વારા આ અંગેની જાણ કરવામાં આવતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના એએસઆઇ જીતુભાઇ બાળાએ જરૂરી કાર્યવાહી કરી હતી. યુવક અહીં પીજીમાં રહી કોલેજમાં અભ્યાસ કરતો હતો. કારણ જાણવા પોલીસે તપાસ યથાવત્ રાખી છે.
બીજા બનાવમાં જામનગર રોડ, સૂર્યકાંત હોટેલ જલારામ મંદિર પાસે રહેતા ગીતાબેન ભીમાભાઈ ભાટી(ઉં.વ.27) નામની મહિલાએ ઘરે પતરાની લોખંડની આડમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા 108 ઇએમટીની ટીમ દ્વારા મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ્ટે. ગિરીરાજસિંહ ઝાલાએ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. આપઘાત કરનાર ગીતાબેનને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. તેણીએ ક્યાં કારણસર પગલું ભર્યું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.