દક્ષિણ રેલવેમાં સ્થિત મીલવિટ્ટાન-તૂતિકોરિન સેક્શનમાં ડબલ ટ્રેક કામગિરીનાં લીધે, તા. 19 ડિસેમ્બર 2025 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નં. 19568 ઓખા-તૂતિકોરિન વિવેક એક્સપ્રેસ ઓખાથી પ્રસ્થાન કરીને કોવિલપટ્ટી સ્ટેશન સુધી જ જશે. આ રીતે આ ટ્રેન કોવિલપટ્ટી અને તૂતિકોરિનની વચ્ચે આંશિક રૂપે રદ રહેશે. તેવી જ રીતે, 21 ડિસેમ્બર 2025 ના રોજ તૂતિકોરિનથી ઉપડનારી ટ્રેન નં. 19567 તૂતિકોરિન-ઓખા વિવેક એક્સપ્રેસ તૂતિકોરિનના બદલે કોવિલપટ્ટીથી પ્રસ્થાન કરીને ઓખા સુધી જશે. આ રીતે ટ્રેન તૂતિકોરિન અને કોવિલપટ્ટીની વચ્ચે આંશિક રૂપે રદ રહેશે. ત્યારે આ ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા શરૂ કરવા રેલવે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યના જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાને તેમની 10 વર્ષની ઉત્કૃષ્ટ કામગીરી બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સન્માનિત કર્યા હતા. આ સન્માન તેમને આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ તા. 9 ડિસેમ્બર 2025 ના રોજ ‘લોખંડી પુરુષ’ સરદાર પટેલની પ્રતિમાના મોમેન્ટોથી નવાજીને અપાયું હતું. વોરાએ 10 વર્ષના કાર્યકાળમાં કુલ 134 કેસોમાં અને છેલ્લા 21 મહિનામાં 34 કેસોમાં આરોપીઓને સજા અપાવી છે, જે એક રેકોર્ડ છે.
23 ડિસેમ્બર 2015 ના રોજ DGP નો ચાર્જ સંભાળ્યા બાદ તેમણે બળાત્કાર, ખૂન, ઉચાપત, નાર્કોટિક્સ ડ્રગ્સ અને ભ્રષ્ટાચાર જેવા ગંભીર ગુનાઓમાં દોષિતોને આજીવન કેદ, 10 વર્ષની કેદ સહિતની સજાઓ અપાવી ન્યાયિક ઇતિહાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. દરમિયાન 9 ડિસેમ્બર 2025 ના રોજ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે થાપણદારોની કરોડોની ઉચાપતના 5 કેસોમાં આરોપી પલક કોઠારીને દરેક કેસમાં 5 વર્ષની કેદની સજા ફટકારી હતી. આ કેસો પણ એસ. કે. વોરાએ અધિક પબ્લિક પ્રોસીક્યુટર કમલેશ ડોડીયા સાથે મળીને પૂર્ણ કર્યા હતા. વોરાની અસરકારક દલીલોને કારણે કોર્ટે આરોપીના બચાવને નામંજૂર કરી તેને સજા ફરમાવી હતી.