રાજકોટમાં અરવિંદ કેજરીવાલના ભાજપ પર પ્રહારો

આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજકોટ જિલ્લાના ત્રિ-દિવસીય પ્રવાસના પ્રથમ દિવસે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર તીખા પ્રહારો કર્યા હતા. તેમણે ગુજરાતમાં વધતા નશા, બેરોજગારી અને નકલી શરાબના મુદ્દે સરકારને ઘેરી હતી. લોકોને અપીલ કરી કે, 30 વર્ષથી ચાલી રહેલા ભાજપના શાસનને હટાવી નવી સરકાર લાવવાનો સમય આવી ગયો છે. કેજરીવાલના આગમન વખતે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી સંખ્યામાં AAP કાર્યકર્તાઓ એકત્ર થયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

પોતાના જ મંત્રીઓને ખરાબ, બેકાર અને ભ્રષ્ટાચારી માનીને બદલ્યા? કેજરીવાલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, ગુજરાતની હાલત દિન-પ્રતિદિન ખરાબ થઈ રહી છે. તેમણે ભાજપ સરકારના તાજેતરના મંત્રીમંડળમાં ફેરફાર પર કટાક્ષ કરતા કહ્યું કે, “થોડા દિવસો પહેલા તેમણે પોતાનું મંત્રીમંડળ બદલ્યું છે, જેનો અર્થ એ છે કે, તેઓ પોતે માને છે કે તેમનાથી ગુજરાત સંભાળી શકાતું નથી. તેઓએ પોતાના તમામ મંત્રીઓને ખરાબ, બેકાર અને ભ્રષ્ટાચારી માનીને બદલ્યા છે.” તેમણે વધુમાં કહ્યું કે, ખેડૂતો પોતાના હક્ક માટે લડી રહ્યા છે, પરંતુ તેમના દીકરાઓને જેલમાં નાખવામાં આવ્યા છે. “અમે તેમની સાથે છીએ. કેટલાક ખેડૂતો જેલમાંથી છૂટી ગયા છે, જ્યારે કેટલાક હજુ જેલમાં છે. અમે તેમના પરિવારજનોને મળીશું.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *