સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાંબા સમયથી ખાલી રહેલી રજિસ્ટ્રાર (કુલસચિવ)ની નિયુક્તિ પ્રક્રિયા હવે આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જ આ પ્રતિષ્ઠિત પદ માટે અરજી કરનારા ઉમેદવારોનું લાયક અને ગેરલાયક ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ લિસ્ટમાં રજિસ્ટ્રારના પદ માટે માત્ર ત્રણ જ ઉમેદવારો લાયક ઠર્યા છે. યુનિવર્સિટી કેમ્પસમાં ચાલતી ચર્ચા મુજબ, આ ત્રણ ઉમેદવારોને ટૂંક સમયમાં ઇન્ટરવ્યૂ માટે કોલ લેટર આપવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલમાં સૌથી વધુ ચર્ચા ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અજયસિંહ જાડેજાના નામની છે. યુનિવર્સિટીના સૂત્રો અને કેમ્પસ વર્તુળોમાં એવી પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેમને નવા રજીસ્ટ્રાર બનાવવામાં આવી શકે છે.
ત્રણ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે અને ત્યારબાદ યુનિવર્સિટી દ્વારા સત્તાવાર રીતે નવા રજિસ્ટ્રારના નામની જાહેરાત કરવામાં આવશે, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વહીવટમાં એક નવો અધ્યાય શરૂ કરશે. મળતી માહિતી મુજબ જે ત્રણ ઉમેદવારોની લાયક ગણવામાં આવ્યા છે તેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જ એક અધિકારી છે, બીજા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના અધિકારી છે અને ત્રીજા ડૉ. આંબેડકર યુનિવર્સિટીના અધિકારી છે. આગામી ટૂંક સમયમાં જ રજીસ્ટ્રાર માટેના ઈન્ટરવ્યું ગોઠવવામાં આવશે.