આસામમાં આદિવાસી મુસ્લિમ જાતિનો સામાજિક-આર્થિક સ્થિતિનો સરવે કરાશે

આસામની ભાજપ સરકારે મંગળવારે જણાવ્યું હતું કે રાજ્યના પાંચ મૂળ આદિવાસી મુસ્લિમ સમુદાયોની સામાજિક-આર્થિક સ્થિતિની સમીક્ષા કરશે જેથી કરીને તેમના ઉત્થાન માટે પગલાં લઈ શકાય. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આ સંદર્ભે રાજ્ય સચિવાલયમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

આસામ સીએમઓએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ‘મુખ્યમંત્રી બિસ્વાએ સંબંધિત અધિકારીઓને આસામના આદિવાસી મુસ્લિમ સમુદાયો (ગોરિયા, મોરિયા, દેશી, સેવદ અને જોલ્હા)ની સામાજિક-આર્થિક સ્થિતિની સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો હતો. સરકારે કહ્યું છે કે આ સમીક્ષાના આધારે, મૂળ આદિવાસી લઘુમતીઓના વ્યાપક સામાજિક-રાજકીય ઉત્થાનના હેતુથી યોગ્ય પગલાં લેવા માટે રાજ્ય સરકારને માર્ગદર્શન આપશે.

2011ની વસતીગણતરી મુજબ મુસ્લિમોની કુલ સંખ્યા 1.06 કરોડ હતી, જે કુલ વસતીના લગભગ 34.22% હતી. હવે તે વધીને 40% થી વધુ થવાનો અંદાજ છે. હાલમાં આસામની વસતી લગભગ 3.50 કરોડ છે, જેમાંથી લગભગ 1.40 કરોડ મુસ્લિમ છે. જમ્મુ-કાશ્મીર પછી, આસામ દેશની કુલ વસતીમાં મુસ્લિમ હિસ્સાની દ્રષ્ટિએ બીજું સૌથી મોટું રાજ્ય છે. આસામમાં ઇસ્લામ એ બીજો સૌથી મોટો અને સૌથી ઝડપથી વિકસતો ધર્મ છે. જેમાં રાજ્યભરમાં ઝડપથી વિકસતી ખાનગી મદરેસાઓની મહત્ત્વની ભૂમિકા છે. રાજ્યના 11 જિલ્લાઓમાં 52%થી 99% સુધીની મુસ્લિમ વસતી છે. અન્ય 8 જિલ્લાઓમાં મુસ્લિમ વસતી ઝડપથી વધી છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર આ જિલ્લાઓમાં મુસ્લિમોનો લઘુમતી દરજ્જો છીનવી લેવાનું પણ વિચારી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *