અમદાવાદના સિંગરવા ભુવાલડી પાસે વર્ના ચાલકે 4ને ઉડાવ્યા, 1નું મોત

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં 48 કલાકમાં પાંચ અકસ્માતમાં 5 વ્યક્તિના મોત અને પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં સિંગરવા ભુવાલડી ગામ પાસે રસ્તાની સાઇડમાં કામ કરતા મજૂરોને કારચાલકે અડફેટે લેતા એક મજૂરનું મોત નિપજ્યું અને ત્રણ ઇજાગ્રસ્ત થયા છે. તેમજ દાણીલીમડામાં કાર રિવર્સ લેતા એક્ટિવા પર જતા દંપતીને ટાયર લટકાવવાના બોલ્ટ ઘૂસી જતા પતિનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ અને પત્ની ઇજાગ્રસ્ત થઇ છે. નારોલમાં લોડિંગ ટેમ્પોચાલકે ચાલતા જતા વૃધ્ધને અડફેટે લેતા મોત થયું છે.હીરાવાડી પાસે બે ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત થતાં યુવકનું મોત અને એક યુવક ઇજાગ્રસ્ત થયો છે. તમામ બનાવોમાં પોલીસે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.

વર્ના કારચાલકે પૂરઝડપે ગાડી હંકારીને મજૂરોને ઉડાવ્યા દાહોદમાં રહેતા 30 વર્ષીય વસંતાબેન બારીયા છૂટક મજૂરી કામ કરતા હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી સિંગરવા ભુવાલડી પાસે બાંધકામની સાઇટમાં મજૂરી કામ કરતા હતા. રવિવારે બપોરના સમયે અન્ય મજૂરો 27 વર્ષીય રમીલાબેન ભુરીયા, 20 વર્ષીય પાયલબેન ગણાવા, 25 વર્ષીય કાળુભાઇ ભરીયા સાથે બાંધકામ સાઇટ માટે રસ્તાની સાઇડમાં માટી જારવાનું કામ કરી રહ્યા હતાં. તે સમયે પુરઝડપે આવી રહેલ વર્ના કારચાલકે તમામ મજૂરોને અડફેટે લીધા હતાં. બાદમાં કાર રેતીના ઢગલામાં ઉભી રહી ગઇ હતી. પરંતુ કારચાલક કાર મૂકીને નાસી ગયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત ચારેય મજૂરોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમ્યાન વસંતાબેનનું મોત નિપજ્યું હતું. આ અંગે આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *