ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ખુલાસો કર્યો કે વર્લ્ડ કપ ફાઈનલની આગલી રાત્રે તેમને સચિન તેંડુલકરનો ફોન આવ્યો હતો. બધા તેમને સલાહ આપી રહ્યા હતા, પરંતુ તેંડુલકરના શબ્દો સૌથી વધુ ધ્યાન ખેંચતા હતા.
હરમનપ્રીતે કહ્યું કે નવી મુંબઈમાં તે ઐતિહાસિક રાતને પાંચ દિવસ થઈ ગયા છે, પરંતુ તે હજુ પણ જીતને સંપૂર્ણપણે સમજી શકતી નથી. તેણે કહ્યું, “સાચું કહું તો, મને હજુ પણ સંપૂર્ણ રીતે ખ્યાલ નથી આવ્યો કે અમે શું પ્રાપ્ત કર્યું છે. કદાચ થોડા મહિનામાં, હું સમજી શકીશ કે અમે દેશ માટે શું કર્યું છે. અત્યારે, તે બધું સ્વપ્ન જેવું લાગે છે.”
“જ્યારે પણ અમે એકબીજાને મળીએ છીએ, ત્યારે અમે ફક્ત એટલું જ કહીએ છીએ, ‘વર્લ્ડ ચેમ્પિયન.’ આ એક ખૂબ જ અલગ લાગણી છે. અમે ઘણા સમયથી આ ક્ષણની રાહ જોઈ રહ્યા છીએ.”
“તે મેચમાં મારા માતા-પિતા હાજર હતા. તેમની સામે વર્લ્ડ કપ ટ્રોફી ઉપાડી શકવું મારા માટે ખૂબ જ ખાસ હતું. બાળપણથી જ, મેં હંમેશા કહ્યું છે કે હું ભારતીય જર્સી પહેરવા માગુ છું, મારા દેશ માટે રમવા માગુ છું, ટીમનું નેતૃત્વ કરવા માગુ છું અને વર્લ્ડ કપ જીતવા માગુ છું.”