સુરત શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને કાપડ વેપારી રશ્મિન ચંદ્રકાંત કાચીવાલાએ આજે વહેલી સવારે પોતાના નિવાસસ્થાને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં ખત્રી સમાજ અને સમગ્ર ઉદ્યોગ આલમમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ડિપ્રેશનમાં હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત ઇકોટ ટેક્સટાઇલ પાર્કમાં હતી મિલ સલાબતપુરા વિસ્તારની ખાંગડશેરી ખાતે હનુમાનજીના મંદિરની બાજુમાં પત્ની સહિત પરિવાર સાથે રહેતા રશ્મિન કાચીવાલા પલસાણાના ગુજરાત ઇકોટ ટેક્સટાઇલ પાર્કમાં જે.પી. કાચીવાલા નામથી પોતાની મિલ યુનિટ ધરાવતા હતા. આ મિલની જવાબદારી તેઓના મોટાભાઈ ધર્મેશ કાચીવાલા સાથે સંભાળતા હતા. ઉદ્યોગપતિ દ્વારા આ પ્રકારે આત્યાંતિક પગલું ભરવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે.
સ્થાનિક પોલીસને જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, મૃતક રશ્મિન કાચીવાલા છેલ્લા કેટલાક સમયથી કોઈક અગમ્ય કારણોસર ડિપ્રેશનમાં હતા. જોકે, આ ડિપ્રેશન પાછળનું ચોક્કસ કારણ શું છે તે અંગે હજુ રહસ્ય ઘેરાયેલું છે. પોલીસે હાલમાં અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે, જેનાથી આ ઉદ્યોગપતિના આ પગલા પાછળનું સાચું કારણ બહાર આવી શકે.