રાજકોટ પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ (PIT NDPS) કાયદા હેઠળ ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. રાજકોટનાં ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસમાં NDPS એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં સામેલ વિવેક અતુલભાઈ નાગર, કેતન ઉધાસ અને દક્ષરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા સહિતના ત્રણેય શખ્સોને અનુક્રમે સુરત, ભુજ અને વડોદરા જેલ ખાતે ધકેલવામાં આવ્યા છે.
રાજકોટ શહેરમાં માદક પદાર્થોનું વેચાણ અટકાવવા અને યુવાધનને ગેરમાર્ગે જતા રોકવા માટે ડ્રગ્સ અને ગાંજા જેવા માદક પદાર્થોનું વેચાણ કરતા આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રાજકોટ શહેરના પોલીસ કમિશનરની સૂચના મુજબ, અગાઉ ગેરકાયદેસર માદક પદાર્થો સાથે પકડાયેલા આરોપીઓ સામે PIT NDPS કાયદા હેઠળ દરખાસ્તો તૈયાર કરીને મોકલવામાં આવી હતી. જેમાં CID ક્રાઈમ અને રેલવેઝના DGP સમક્ષ આ દરખાસ્તો મોકલવામાં આવી હતી.
આ દરખાસ્તોમાં માદક પદાર્થોની હેરાફેરી કરનારા આ આરોપીઓને રાજકોટ બહાર ધકેલવા માંગ કરવામાં આવી હતી. જેમાં કાયદાની કલમ 3 હેઠળ, DGPએ આ ત્રણ આરોપીઓની અટકાયત કરવાનો આદેશ આપ્યો હતો અને વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું. જેના આધારે પોલીસ દ્વારા વિવેક અતુલભાઈ નાગર, કેતન ઉધાસ અને દક્ષરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા સહિતના ત્રણેય શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ આ શખ્સોને સુરત, ભુજ અને વડોદરા જેલ ખાતે ધકેલવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
આરોપીઓનાં નામ અને ગુનાહિત ઇતિહાસ 1) વિવેક અતુલભાઈ નાગર: 30 વર્ષીય આ વ્યક્તિ રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં આવેલી રાજરત્ન રેસિડેન્સીમાં રહે છે. ભૂતકાળમાં, તેની સામે રાજકોટ શહેરના ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ 1985ની કલમ 8(C), 21(a), અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તેને હાલમાં સુરતની મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યો છે.
2)કેતન અશોકદાન ઉધાસ: 39 વર્ષીય આ વ્યક્તિ રામાપીર ચોકડી પાસે, લાભદીપ સોસાયટી, રાજકોટમાં રહે છે. તેનો ગુનાહિત ઇતિહાસ પણ છે, જેમાં રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ 1985ની કલમ 8(C), 21(b), અને 29 હેઠળ ગુનો નોંધાયો હતો. તેને ભૂજ (પાલારા) ખાતેની ખાસ જેલમાં મોકલવામાં આવ્યો છે.