વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આગામી તા.17 સપ્ટેમ્બરના રોજ 75મો જન્મ દિવસ છે તેની ઉજવણીના ભાગરૂપે તા.14ને રવિવારે રાત્રે રેસકોર્સ મેદાનમાં નમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નરેન્દ્રભાઇના જીવન-કવનને દર્શાવતો મલ્ટિમીડિયા મ્યુઝિકલ શોમાં 150થી વધુ કલાકારોએ કલાના કામણ પાથર્યા હતા.
ઓપરેશન સિંદૂર અને દેશની આન-બાન અને શાનની ગૌરવ ગાથા વર્ણવવામાં આવી હતી. નમોત્સવ કાર્યક્રમમાં આયોજકોની ધારણા કરતા લોકો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા અને જ્યાં નજર પડે ત્યાં માનવ મહેરામણ નજરે પડતું હતું.
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કહ્યું હતું કે, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ભરત બોઘરા, રાજકોટ શહેર પૂર્વ પ્રમુખ મુકેશ દોશી તેમજ માધવ દવે અને પ્રવક્તા રાજુ ધ્રુવની મહેનત લેખે લાગી છે. અને રાજ્યમાં અન્ય ત્રણ શહેર કરતા રાજકોટનો આ કાર્યક્રમ ખૂબ સારો રહ્યો.