શહેરમાં વધુ એક વખત નશાખોર કારચાલકે આતંક મચાવ્યો હતો. ગોંડલ રોડ ચોકડીથી કેકેવી ચોક તરફ આવી રહેલા કારચાલકે બિજ બજાર પાસે કાબૂ ગુમાવ્યો હતો અને આગળ જઇ રહેલા વાહનોને ઉલાળ્યા હતા. સ્કૂટર પર સવાર ડો.મીરાબેન ઠોરિયા અને તેમની આઠ વર્ષની પુત્રી અરિત્રા કારની ઠોકરથી ફંગોળાયા હતા.
ઘટનાને પગલે લોકો એકઠા થઇ ગયા હતા અને પથ્થરમારો કરી કારના કાચ ફોડી નાખ્યા હતા અને કારચાલક કેતન ઠુમ્મરને માલવિયાનગર પોલીસ હવાલે કર્યો હતો. લોકોએ આક્રોશ સાથે કહ્યું હતું કે, કારચાલક કેતન નશાખોર હાલતમાં હતો. ઘવાયેલા મહિલા તબીબ અને તેમની પુત્રીને હોસ્પિટલમાં ખસેડાયા હતા.