રાજકોટના રૈયાધાર વિસ્તરમાંથી વૃદ્ધનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં વૃદ્ધને માથાના ભાગે ઈજાના નિશાન હોવાથી તેમનું મોત માર મારવાથી થયું છે કે, અન્ય કોઈ કારણથી થયું તે સ્પષ્ટ થયું ન હતું જેથી બનાવ હત્યાનો છે કે આત્મહત્યા તે જાણવા મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વૃદ્ધનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો ગઈકાલે રૈયા ધાર સ્લમ ક્વાર્ટર સામે આવેલા મોમાઈનગરમાં રહેતા મનસુખ આણંદજીભાઈ ટાંક (ઉં.વ.75)ના ઘરમાંથી સળગી ગયેલી હાલતમાં મળ્યાં હતા. પ્રથમ દૃષ્ટિએ બનાવ આપઘાતનો હોવાનું જણાવ્યું હતું, પરંતુ માથામાં ઇજાના નિશાન હોવાથી શંકાઓ ઉપજી હતી. જેથી પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. જોકે ફરજ પરના તબીબે ફોરેન્સિક પીએમ કરવા માટે સૂચના આપતા આજે મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું. મૃતક મનસુખભાઈના ભાણેજ રાજેશભાઈ ઘનશ્યામભાઈ પટેલએ જણાવ્યું હતું કે, તેમના મામા મનસુખભાઈ એકલા રહેતા હતા. મનસુખભાઈને અડી અડીને બે મકાન આવેલા છે. જેમાં એકમાં તેઓ રહેતા અને બીજું બાજુનું મકાન ભાડે આપ્યું હતું. આ ભાડે આપેલા મકાનની બાજુમાં ભાણેજ રાજેશભાઈ પોતે પોતાના પરિવાર સાથે રહે છે.
વૃદ્ધને માથામાં ઇજાના નિશાન મળી આવ્યા હતા ગઈકાલે રાત્રે 10 વાગ્યા આસપાસ પોતાના ઘરે આવ્યા ત્યારે મનસુખભાઈના ભાડુઆતે આવીને જાણ કરી કે, મનસુખભાઈના ઘરમાંથી ધુમાડા નીકળે છે જેથી તુરંત ફાયર બ્રિગેડમાં જાણ કરતા ફાયરની ટીમે આવી દરવાજો ખોલી અને પાણીનો મારો ચલાવ્યો હતો. બાદમાં અંદર જોતા મનસુખભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ 108 અને પોલીસને જાણ કરવામાં આવી હતી. 108ના સ્ટાફે સ્થળ પર પહોંચી મનસુખભાઈને મૃત જાહેર કર્યા હતા. યુનિવર્સિટી પોલીસ સ્ટાફ પણ સ્થળ પર પહોંચી જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો. જ્યાં વૃદ્ધને માથામાં ઇજાના નિશાન જોવા મળતા તે પડી જવાથી થયા છે? કે પછી કોઈએ માર માર્યો છે? તે જાણવા મૃતદેહ નું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મનસુખભાઈના પત્ની ચતુરાબેન ચાર વર્ષ પહેલા અવસાન પામ્યા હતા. ત્યારથી મનસુખભાઈ ઘરમાં એકલા જ રહેતા હતા.