રાજકોટમાં 14થી 18 ઓગસ્ટ સધી લોકમેળો યોજાશે. તેની જાહેરાત કરી દેવાઇ છે,પરંતુ હાલ તો મેળાનું આયોજન જ ગોટે ચડ્યું છે. હજુ તો ફોર્મ વિતરણ થઇ રહ્યું છે. જ્યારે બીજી તરફ રાજકોટનો મેળો જેના માટે આકર્ષણનું કેન્દ્ર છે તે રાઇડ્સ જોવા મળશે કે કેમ તે અંગે હજુ કોઇ નિર્ણય લેવાયો જ નથી. એક બાજુ રાઈડ્સધારકો નિયમ- એસ.ઓ.પી.માં છૂટછાટ માગી રહ્યા છે અને જો તે નહિ મળે તો લોકમેળાના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. સોમવારે કલેક્ટર સાથે રાઈડ્સ સંચાલકોની બેઠક હતી, પરંતુ આ બેઠક મળી નહોતી શકી. રાઈડ્સધારકોના જણાવ્યાનુસાર હવે સમય પણ ઓછો છે જો સમયસર મેદાન ન મળે તો રાઈડ્સ ફિટ કરવી અશક્ય છે.
રાઈડ્સધારકોના વધુમાં જણાવ્યાનુસાર આ સપ્તાહના અંત સુધીમાં નિર્ણય લેવાઇ જવો જોઇએ.જ્યારે વહીવટી તંત્ર દ્વારા તો ફોર્મ ભરીને પરત કરવાની અંતિમ મુદત 11 જુલાઈ રાખી છે. ફોર્મ ભરાઈને આવે ત્યાર પછી હરાજી- ડ્રો રાખવામાં આવે અને પછી મેદાનનો કબજો અમને સોંપવામાં આવે. આમ,જે સમય છે તે બહુ ઓછો મળે.જો આર.સી.સી. મુજબ ફાઉન્ડેશન કરવું હોય તો મેદાનનો કબજો સમયસર આપવો પડે. જો અમારી માગણી નહિ સંતોષાય તો અમે પહેલેથી જ મેળાનો બહિષ્કાર કર્યો છે જે યથાવત્ રાખીશું.