હનુમાનજી મહારાજને ભગવાન સ્વામીનારાયણના દાસ તરીકે દર્શાવતાં વિરોધ

સાળંગપુર હનુમાનજી મંદિરમાં આવેલી કિંગ ઓફ સાળંગપુરની ભવ્ય પ્રતીમાની નીચે બનેલી કણપીઠમાં શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે, જેમાં સ્વામીનારાયણ ભગવાન ઊભા છે અને હનુમાનજી તેને પ્રણામ કરતા હોય તેવા શિલ્પ છે. આ શિલ્પમાં સ્વામીનારાયણ ભગવાનને હનુમાનજી પ્રણામ કરતા હોય તેવું ચિત્ર બતાવાતાં હિન્દુ સંગઠનો આક્રમક બન્યા છે અને વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનોએ આ ભીંતચિત્રો હટાવવા ઉગ્ર માગણી કરી છે. આ ગરમાયેલા મામલાને થાળે પાડવા લડતાલ સ્વામીનારાયણ ટ્રસ્ટની મિટિંગ આજે મળવાની હતી પણ તે છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી.

સાળંગપુર હનુમાનજી મંદિરે અંકિત કરવામાં આવેલી કેટલીક ભીંત કૃતિઓ મૂળ ધાર્મિક વાતો કરતા વિપરીત રીતે દર્શાવવામાં આવી હોવા બાબતે કેટલાક લોકો તરફથી સોશિયલ મીડિયાના માધ્યમથી ટીકા કરી વિરોધ શરૂ કરવામાં આવતા વિવાદના બીજ રોપાયા છે.

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે મુખ્ય પ્રવેશદ્વાર પછીના ચોગાનમાં 54 ફૂટ ઊંચાઈની હનુમાનજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમાના ફાઉન્ડેશન ફરતી ખાલી જગ્યા ઉપર વિવિધ ધાર્મિક અને સાંપ્રદાયિક બાબતોને ઉજાગર કરતી પ્રતિમાઓ કંડારવામાં આવી છે. આ પ્રતિમાઓમાં હનુમાનજી દાદાને સહજાનંદ સ્વામીના દાસ તરીકે ચિતરવામાં આવ્યા હોવાનું તથા હનુમાનજી સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. આ સિવાય અન્ય એક ભીંતચિત્રમાં એક આસન પર બેઠાં નજરે પડે છે, જ્યારે હનુમાનજી નીચે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં બેઠાં હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. જે દરમિયાન કેટલાક દર્શનાર્થીઓએ આ શિલ્પચિત્રોના ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યા બાદ વિવાદ ઉઠ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *