લોકમેળો હવે રેસકોર્સને બદલે અટલ સરોવર પાસે યોજાઈ શકે

રાજકોટમાં છેલ્લા 50 વર્ષથી વધુ સમયથી સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાતીગળ લોકમેળો યોજાય છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાંથી લાખો લોકો આ મેળાને માણવા માટે આવતા હોય છે ત્યારે દર વર્ષે વધતી જતી ભીડને કારણે અગાઉ આ મેળો શાસ્ત્રી મેદાનમાં યોજાતો હતો અને ત્યાંથી રેસકોર્સ મેદાનમાં લોકમેળાનું આયોજન શરૂ થયું. જોકે ત્યાં પણ ભારે ભીડને કંટ્રોલ કરવી વહીવટી અને પોલીસ તંત્ર માટે માથાના દુખાવારૂપ બની રહ્યું છે.

રેસકોર્સમાં યોજાતો લોકમેળો આગામી વર્ષે અટલ સરોવર પાસે યોજાઈ શકે આ દરમિયાન TRP ગેમઝોનની ગંભીર દુર્ઘટના બાદ લોકમેળાનું સ્થળ બદલવા માટેની ચર્ચાઓ શરૂ થઈ અને હવે આ લોકમેળો રેસકોર્સ મેદાનથી અટલ સરોવર પાસે ખસેડવામાં આવે એવી તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. જોકે, અટલ સરોવર પાસેનો વિસ્તાર ખાડાવાળો હોવાથી જમીન સમથળ કરવા માટેનો નિર્ણય કલેક્ટર તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે રૂ. 12 કરોડનાં ખર્ચે અટલ સરોવર પાસેની 90 હજાર સ્ક્વેર મીટર જગ્યા સમથળ કરવા માટેની દરખાસ્ત રાજ્ય સરકાર સમક્ષ મોકલવામાં આવી છે અને ત્યાંથી મંજૂરી આવ્યા બાદ જમીન સમથળ કરવામાં આવશે. જેથી કહી શકાય કે, રેસકોર્સ મેદાનમાં યોજાતો લોકમેળો હવે આગામી વર્ષે અટલ સરોવર પાસે યોજાશે.

જમીન સમથળ કરવા માટે રાજ્ય સરકાર પાસે મંજૂરી માગી રાજકોટ કલેકટર પ્રભવ જોશીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતુ કે, રેસકોર્સ મેદાનમાં દર વર્ષે જન્માષ્ટમી દરમિયાન યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો અટલ સરોવર પાસે યોજવા માટેનું નક્કી કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અટલ સરોવર આસપાસ આવેલી 90 હજાર સ્ક્વેર મીટર જેટલી જગ્યા રૂપિયા 12 કરોડના ખર્ચે સમથળ કરવા માટે રાજ્ય સરકાર પાસે મંજૂરી માંગવામાં આવેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *