જેતપુરના જેતલસર ગામના એક ખેડૂતને ધંધા માટે આર્થિક જરૂરીયાત હોય તેની કિંમતી જમીન ગીરવે રાખી વકીલ બંધુએ 40 લાખ રૂપિયા વ્યાજે આપેલ અને ગેરેન્ટીરૂપે દસ્તાવેજ કરાવી લીધેલ જે જમીન પૈકી થોડી જમીન અન્યને વેચેલ આ વ્યાજમાંથી મુક્ત થવા ખેડૂતે અન્ય ત્રણ શખ્સો પાસે જમીનની બીજો ભાગ ગીરવે મૂકી 30 લાખ વ્યાજે લીધા આમ, 70 લાખના 1.57 કરોડ રૂપિયા ચૂકવ્યા છતાંય હજુ વધુ વ્યાજ ચુકવવું પડશે નહીંતર જમીન બીજાને વેચી નાંખશું તેવી તેમજ મારવાની ધમકી આપવાની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી.
મૂળ જેતલસરના હાલ અમદાવાદ રહેતા વિકેશભાઈ ભુવા અમદાવાદમાં દિતી એન્જીનીયરીંગ નામે કંપની ચલાવે છે. વિકેશભાઈએ પૈસાની જરૂર પડતાં ખેતીની જમીન મગનભાઈ ચોવટીયા નામના દલાલની મધ્યસ્થીથી જેતપુરના વકીલ બંધુ ભાવેશ અને નિલેશ ટીલાળા પાસે માસીક 3 ટકાના વ્યાજે 40 લાખ રૂપિયામાં ગીરવે મુકી હતી અને ગેરેન્ટીના ભાગરૂપે વિકેશભાઈના પિતા પરસોત્તમભાઈએ જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો. જેમાં થોડો સમય વ્યાજ આપ્યું પરંતુ વિકેશભાઈને ધંધામાં મંદી આવતા તેઓ વ્યાજ ચુકી જતા ભાવેશભાઈ તેઓના ઘરે આવીને ગાળો બોલી વ્યાજની ઉઘરાણી કરતા અને તેઓએ જમીન પરત જોતી હોય તો વ્યાજ સહિત 90 લાખ રૂપિયા ચુકવવાની વાત કરી હતી.
આ બંને વકીલ ટીલાળા બંધુઓએ ખેડૂતની જાણ બહાર તેમની જમીનનો થોડો ભાગ જેતપુરના નાથાભાઇ માવાણીને 67 લાખ રૂપિયામાં વેચી નાખેલી, પરંતુ દસ્તાવેજમાં જમીનની કિંમત માત્ર 6,21,300 રૂપિયા બતાવેલા. આ વકીલ બંધુ હજુ 22 લાખ રૂપિયા વ્યાજ પેટે બાકી હોય તેની ઉઘરાણી કરતા જેથી તેઓની ટીલાળા બંધુ પાસે ગીરવે મૂકેલ જમીનમાંથી બાકીની જમીન ઉપર કેશોદના રહેવાસી રામભાઈ કેશવાલા, મશરીભાઈ બારીયા અને મહેશભાઈ જોશી એમ ત્રણેય પાસેથી 10-10 લેખે કુલ 30 લાખ રૂપિયા 3 ટકા વ્યાજે લીધા હતા.
આ વ્યાજખોરોને મુદ્દલ કરતા અનેકગણું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં તેઓ ખોવાઈ જશો મારી નાંખશું જેવી ધમકી આપતા હોવાથી વિકેશભાઈએ મગનભાઈ ચોવટીયા, ભાવેશભાઈ ટીલાળા, નિલેશભાઈ ટીલાળા, રામભાઈ કેશવાલા, મશરીભાઈ બારીયા તેનો પુત્ર યશ બારીયા અને મહેશ જોશી સામે જાનથી મારી નાખવાની ધમકી તેમજ મની લોંડરીંગ હેઠળ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. થોડા સમય પહેલાં રાજ્ય સરકારે પણ પોલીસ તંત્રને વ્યાજખોરો સામે કડકાઇથી કામ લેવાની તાકીદ કર્યા બાદ વધુને વધુ લોકો નિર્ભિક પણે ફરિયાદ કરવા સામે આવી રહ્યા છે.