ગોંડલ રોડ પર અમર કોમ્પ્લેક્સમાં સુરેશભાઈ પરમારની ઓફિસમાં રહેતાં રાજેન્દ્રભાઈ સામજીભાઈ પરમાર (ઉ.વ 63) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે સવારના 9.15 વાગ્યાની આસપાસ ઓફીસથી નીચે ઉતરી બહાર જતો હતો, ત્યારે ત્યાં ગ્રાઉન્ડ ફલોર પર બાપા સીતારામ કાર ડેકોરેશનના નામની ભાડાની દુકાન ધરાવતા હીરેન તનસુખ પોપટ (ઉ.વ 46) પોતાની ઓફિસ પાસેનું આંગણુ વેકયુમ કલિનરથી સાફ કરતા હતા જેથી ધુળ ઉડતી હતી.
જેના લીધે તેમને આ રીતે વેકયુમ કલિનરથી સફાઇ કરવાની ના પાડી હતી અને ધુળ ન ઉડે તે રીતે સફાઈ કરવાનું કહેતા તે ઉશ્કેરાઇ ગયેલ હતો. દરમિયાન તે બોલાચાલી ઝધડો કરવા લાગ્યો તેમજ ગાળો આપવા લાગ્યો અને અચાનક ઘસી આવી ધક્કો મારતા તે નીચે રોડ પર પડી જતા માથામાં ઇજા થઈ હતી. થોડીવાર બાદ તેઓ ભાનમાં આવતા મીત્રને ફોન કરી બાઇકમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં જતાં ત્યાં તબીબોએ તપાસ કરી જણાવેલ કે, મગજમાં હેમરેજની ઇજા છે જેથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થયા હતા. બનાવ અંગેની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.