હર્ષાબેન તેમજ પાર્ષદભાઈ અને તેમના બીજા ભાઈ હીતેશભાઈ સાથે તા 29-3-24 ના રોજ સાંજના સમયે સ્કૂલ પર હાજર હતા. તે દરમ્યાન બે પોલીસ કર્મચારી સિવિલ ડ્રેસમાં ત્યાં આવેલ અને પાર્ષદભાઈને કહેલ કે ચાલ ગાડીમાં બેસી જા. તારા વિરુદ્ધ ફરિયાદ છે. વાસાણીભાઈ કરી પોલીસ કોન્સટેબલ ત્યા આવેલ અને મોટા અવાજથી અભદ્ર બોલી ગેરવર્તન કરવા લાગેલ અને બિભીસ્ત અપશબ્દો બોલવા લાગેલ.
પાર્ષદભાઈને છાતીમાં જોરથી બચકો ભરી શર્ટ પકડી ઘસડવા લાગેલ અને લાકડીથી માર મારવા લાગેલ જેથી પાર્ષદભાઈએ વિનંતી કરેલ કે, બાળકોની સ્કુલ છુટે ત્યારે આવું છું. પરંતુ આ પોલીસ કર્મીઓ માનેલ નહીં. ત્યાં પ્રાઈવેટ ગાડી આવેલ જેમાં પણ બે પોલીસમેન સિવિલ ડ્રેસમાં હતા.
આ બધા મળી હીતેષભાઈ તેમજ પાર્ષદભાઈ ને ઢીકા-પાટુ અને લાકડી મારવા લાગેલ. બંને ભાઈઓને ઢસડીને ધકકા મારી ગાડીમાં બેસાડી દીધેલ. હર્ષાબેન સાથે ગેરવર્તન કરેલ. બંને ભાઈઓને આજીડેમ પોલીસ સ્ટેશને લઈ આવેલ. ત્યાં પીઆઇ એ.બી.જાડેજા પાસે લઈ ગયેલ અને પી.આઈ.એ બંને ભાઈઓને અપશબ્દો કહી, માર મારી બીજા રૂમમાં મોકલી દીધેલ. ત્યારબાદ તમામ પોલીસ કર્મચારીઓએ પાર્ષદભાઈને તેમજ હીતેષભાઈને મારવા લાગેલ અને બંને ભાઈઓને પેટમાં ગાલે માર મારેલ. પાર્ષદભાઈએ પોતાના મોબાઈલમાં પોલીસ કર્મચારીએ કરેલ ગેરવર્તનનો વીડિયો ઉતારેલ હોય તે વીડિયો પણ ડીલીટ કરી નાખેલ. પછી પોલીસે બંને ભાઈઓને રાતના જવા દીધેલ. બંનેએ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. આ અંગે હર્ષાબેન વ્યાસે આજીડેમ પોલીસ મથકના પી.આઈ. જાડેજા, હેડ કોન્સ્ટેબલ ભુપતભાઈ રામજીભાઈ વાસાણી, કોન્સ્ટેબલ હરીશધનભાઈ માધુભાઈ પરમાર, અજયભાઈ જેસીંગભાઈ હુબલ, જગદીશસિંહ રવુભાઈ પરમાર, હરપાલસિંહ જયુભાઈ જાડેજા વિરૂધ્ધ કોર્ટમાં લેખીત ફરિયાદ કરેલ હતી.
અદાલતે આ અંગે પોલીસ રીપોર્ટ મંગાવેલ તેમજ બંને સાહેદોના સારવાર સર્ટીફીકેટ મગાવેલ અને ફરિયાદીનું વેરીફીકેસન લીધેલ હતું. ફરિયાદીના વકીલ રઘુવીરભાઈ બસીયાની મુખ્ય દલીલ એવી હતી કે, ફરિયાદમાં જણાવેલ તમામ પોલીસ કર્મચારીઓ બનાવવના દિવસે અને બનાવના સમયે ફરિયાદીએ જણાવેલ શાળાએ આવેલ હતા. બંને ભાઈઓને બળજબરી માર મારતા લઈ ગયેલ હતા. પોલીસ મથકમાં પણ બંને ભાઈઓની હાજરી પોલીસ રીપોર્ટ ઉપરથી ફલીત થાય છે. સાહેદોના મેડીકલ સર્ટી ઉપરથી ઈજા હોવાનુ પુરવાર થાય છે. પોલીસે અરજીના કામે નોટીસ કરીને સાહેદોને બોલાવેલ હોય એવુ કયાય રેકોર્ડ ઉપર જણાય આવતુ નથી. જેથી વકીલની દલીલ ધ્યાને લઈ પી.આઈ. જાડેજા સહિતના આરોપી પોલીસ કર્મીઓ સામે અદાલતે આઈ.પી.સી. કલમ 323, 504, 114 મુજબના ગુના અંગે ઈન્સાફી કાર્યવાહી હાથ ધરાવા તેમજ તમામ પોલીસ કર્મચારી વિરૂધ્ધ પ્રોસેસ ઈશ્યુ કરવા હુકમ કરેલ છે. આ કેસમાં ફરિયાદી વતી એડવોકેટ રઘુવીરભાઈ બસીયા રોકાયેલ છે.