રાજકોટના મવડી રોડ પર સરદાર રેસ્ટોરન્ટ ખાતે ગત શનિવારે તોગડિયા પરિવારનો વિશાળ સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પરિવારજનોની હાજરીમાં 22 સાસુએ પોતાની 22 પુત્રવધૂનું સન્માન કર્યું હતું. આ લાગણીસભર સમયે ભાવવાહી દૃશ્યો સર્જાયા હતા.
એડવોકેટ વિજય તોગડિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં કુટુંબ વ્યવસ્થાઓ ભાંગતી જાય છે ત્યારે સંયુક્ત કુટુંબ પ્રથા આજના યુગમાં પણ જાળવી રાખનાર પુત્રવધૂઓ સમાજ માટે પ્રેરણાદાયી હોય તેમના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તોગડિયા પરિવારના શનિવારે યોજાયેલા સ્નેહમિલનના કાર્યક્રમમાં કુટુંબ પ્રબોધન વિશે અને ભગવદ્ ગીતા વિશે મનનીય પ્રવચનો યોજાયા બાદ પરિવારને એક તાંતણે બાંધી રાખનાર પુત્રવધૂઓ કે જેઓના લગ્નને 10 વર્ષ કરતાં વધુ સમય થઇ ગયો છે અને છતાં પરિવારમાં ફાંટા પડવા દીધા નથી તેમના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.