સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને IAS – IPS બનવા માટેની તાલિમ મળી રહે તે હેતુથી વર્ષ 2019 માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન સંચાલિત UPSC કોચિંગ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સેન્ટર તત્કાલીન મુખ્યમંત્રીના ભત્રીજા ડૉ. મેહુલ રૂપાણીના પ્રયાસોથી શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યાં 200 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે તાલીમ આપવાનું શરૂ કરાયું હતું. જોકે બાદમાં હાજરીનો પ્રશ્ન સર્જાતા છેલ્લા 2 વર્ષથી ડિપોઝિટિવ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ અહીં હવે આ સેન્ટરમાં મિસ મેનેજમેન્ટ સામે આવ્યુ છે. છેલ્લા એક વર્ષમાં 111 વિદ્યાર્થીઓને રૂ. 8,100 એટ્લે કે રૂ. 8,99,100 પરત ન મળ્યાં હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત આ સેન્ટરમાં સફાઈનો અભાવ, સ્ટાફ આરામ ફરમાવતો હોય તેવા ઉપરાંત લાયબ્રેરીમાં શ્વાન શયન કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સાથે જ બાયોમેટ્રિક મશીન બંધ હોવાથી વિદ્યાર્થીઓની હાજરી પણ રેગ્યુલર પૂરાતી નથી. હાલ 200 ની કેપેસિટી સામે 90 જેટલાં વિદ્યાર્થીઓ તાલિમ મેળવી રહ્યા છે.
વર્ષ 2019 ના JIO એટ્લે કે જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન દ્વારા સંચાલિત UPSC કોચિંગ સેન્ટરનું તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. જેમના ભત્રીજા ડૉ. મેહુલ રૂપાણી હાલ UPSC કોચિંગ સેન્ટરના ડાયરેક્ટર છે. તેમણે જણાવ્યું હતું કે, દિલ્હીની નિષ્ણાંત ફેકલ્ટી અહીં આવી વિદ્યાર્થીઓને IAS – IPS બનવા માટેની સઘન તાલીમ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓની ડિપોઝિટ યુનિવર્સિટીમાં જમા થાય છે અને વિદ્યાર્થી 2 વર્ષ પૂર્ણ કરે ત્યારે ડિપોઝિટ પરત આપવામા આવે છે. જોકે કોઈ વિદ્યાર્થીને ડિપોઝિટ નથી મળી તો એ બાબતે રજીસ્ટ્રારને વાત કરવામાં આવશે. હાલ અહીં વિદ્યાર્થીઓ ઓછા આવે છે એ હકીકત છે પરંતુ અહીં માત્ર બેસ્ટ 30 વિદ્યાર્થીઓને જો રહેવાની સુવિધા અહીં મળે તો ચોક્કસ તેમાંથી 1 વિદ્યાર્થી તો IAS કે IPS બને જ.