રાજકોટ ક્ષત્રિય સમાજના અગ્રણી અને ક્ષત્રિય આંદોલનના મોભી પી.ટી.જાડેજા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મનીલોન્ડ્રીંગ એક્ટ અંતર્ગત રાજકોટ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં પી.ટી. જાડેજા સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં તેને કારખાનેદારને 60 લાખ રૂપિયા 3 ટકા વ્યાજે લીધા બાદ 70.80 લાખ ચૂકવી દીધા હોવા છતા પઠાણી ઉધરાણી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહિ જામીન પેટે આપેલા મકાનના દસ્તાવેજની ફાઇલ અને ચેક પરત ન આપતા અંતે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 384, 504, 506 તેમજ મનીલેન્ડર્સ એક્ટ કલમ 40, 42 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદી સુરેશભાઇ અમરસિંહભાઈ પરમાર (ઉ.વ.60)એ જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી 2024માં મારે ધંધાના કામે 60 લાખની જરૂર પડતા મે મારા વીસ વર્ષ જુના મિત્ર યશપાલભાઈ પટગીરને વાત કરતા તેણે મને કહેલ કે હું એક બે જગ્યાએ વાત કરીને જણાવીશ બાદ બીજા દિવસે અમે સાઇનગર ચોકમાં ભેગા થતા યશપાલભાઇ એ મને કહેલ કે મે પ્રવીણસિંહ ટપુભા જાડેજા (પી.ટી જાડેજા) કે જેઓ વ્યાજે પૈસા આપે છે અને જેમની ઓફીસ બીગ બજારમાં આવેલ છે તેઓને વાત કરેલ છે અને કાલે સવારે આપણે રૂબરૂ મળી આવશુ એમ વાત કરતા બાદ બીજા દિવસે સવારે હુ તથા યશપાલભાઈ બંને બીગ બજારમાં પી.ટી જાડેજાને રૂબરૂ મળવા ગયેલ અને ત્યા પી.ટી.જાડેજા હાજર હતા અને મે તેઓને વાત કરેલ કે મારે ધંધા માટે 60 લાખની જરૂર છે તો તેઓએ કહેલ કે વાંધો નહી પેલી તારીખ પછી કરી દઈશ.