છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચ.ડીના પ્રવેશમાં નેટ પાસ વિદ્યાર્થીઓને જ પ્રવેશ અપાશે કે એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે તેને લઈને અટકળો ચાલી રહી હતી, પરંતુ યુનિવર્સિટીએ ઓક્ટોબરમાં જ સંલગ્ન કોલેજોના આચાર્યો અને ભવનના વડાઓને પરિપત્ર મોકલીને કહ્યું છે કે, જે વિદ્યાર્થીઓએ NET પરીક્ષા પાસ કરી હશે તેને જ શૈક્ષણિક વર્ષ 2024- 25થી પીએચ.ડી.માં પ્રવેશ આપવામાં આવશે તે જણાવી દીધું હતું. જેના આધારે તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાયેલી પીએચ.ડીની પ્રવેશ પ્રક્રિયામાં ખાલી રહેલી આશરે 212 જેટલી સીટોમાંથી હાલ માત્ર 55 જ સીટો ભરાઈ છે. અગાઉ એન્ટ્રન્સ ટેસ્ટના આશરે પ્રવેશ અપાતો હોવાથી વધુ સીટો ભરાતી હતી, પરંતુ આ વર્ષથી જ નેટ પાસ હોવાનું ફરજિયાત કરવામાં આવતા જ સંખ્યા ઘટી છે.
બીજીબાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ યુજીસીના પરિપત્રના આધારે પીએચ.ડીમાં પ્રવેશ માટે નેટ પાસ હોવાનું ફરજિયાત કરાયું છે. જ્યારે અન્ય યુનિવર્સિટી હજુ પણ જૂના નિયમ એટલે કે એન્ટ્રન્સ ટેસ્ટના આધારે પીએચ.ડીમાં પ્રવેશ આપી રહી છે. રાજ્યની તમામ સ્ટેટ યુનિવર્સિટીમાં એક જ સરખો નિયમ લાગુ પડતો હોવા છતાં કેટલીક યુનિવર્સિટી પોતાની રીતે એન્ટ્રન્સ ટેસ્ટ લઈને પીએચ.ડીમાં પ્રવેશ આપી રહી છે જ્યારે કેટલીક માત્ર નેટ પાસના આશરે જ પ્રવેશ આપતા આવી ગૂંચવણભરી સ્થિતિથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ મૂંઝવણ પ્રવર્તી રહી છે.