રાજકોટમાં બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડીલો માટે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થા અને દાતાઓની પહેલથી અંદાજિત 50થી વધુ વડીલોને હરિદ્વારની જાત્રા કરાવવામાં આવશે. તેમજ ગંગા મૈયાના સાંનિધ્યમાં શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. 27 જૂનથી વડીલો હરિદ્વાર જવા રવાના થશે. આ ભગીરથ કાર્યમાં સંસ્થા અને દાતાઓ જોડાયા છે.
જે વડીલોને આ યાત્રામાં જોડાવું હોય તેના માટે નામ નોંધણી ચાલુ છે. નામ નોંધણી બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ, 3 મિલપરા, કેનાલ રોડ, રાજકોટ ખાતે કરવામાં આવશે.જેનો સમય સવારે 9.30થી 1.00 સુધીનો રહેશે. હરિદ્વારના પ્રવાસ- યાત્રા દરમિયાન કનખલ, મનસાદેવી, ચંડીદેવી, શાંતિકુંજ, ઋષિકેશ, નીલકંઠ, શુકતાલ તેમજ હરિદ્વારના આજુબાજુના સ્થળોની મુલાકાત કરાવવામાં આવશે. તેમજ કથા દરમિયાન ચૂંદડી મનોરથ, રાધા-ક્રિષ્નની ઝાંખી, ગંગા અભિષેક, ગંગા આરતી સહિતના ભક્તિ સભર કાર્યક્રમો યોજાશે. આ સિવાય ગંગાકિનારે પિતૃતર્પણ, વિષ્ણુયાગ પણ કરી શકશે. યાત્રા 27 જૂનથી શરૂ થશે અને કથાનો પ્રારંભ 29 જૂને થશે. જ્યારે કથાની પૂર્ણાહુતિ 5 જુલાઈના રોજ થશે. અને ભક્તો 7 જુલાઈના રોજ રાજકોટ પરત ફરશે.જે ભક્તોને આ યાત્રામાં જોડાવું હોય તેમણે સમયસર નામ નોંધણી કરાવવાની રહેશે.