શહેરની શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને સોનીકામ કરતા અશ્વિનભાઇએ લીંબડીમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધાના મામલામાં મૃતકના પરિવારજનોએ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનના બે કર્મચારી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા, આ આક્ષેપને પગલે બંનેને સસ્પેન્ડ કરી દેવાયા હતા અને હવે બંનેની જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવતા પોલીસબેડામાં સોપો પડી ગયો હતો. અરજીના આધારે હેડ કોન્સ્ટેબલ કિશન આહીર, અશ્વિનભાઇ અને તેના પુત્ર હિરેનને પોલીસ મથકે ઉઠાવી ગયા હતા અને ત્યાં પિતા-પુત્ર પર હેડ કોન્સ્ટેબલ કિશન આહીર અને કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલાએ મારકૂટ કરી પિતા-પુત્ર પાસેથી રૂ.30 લાખનું સોનુંં પડાવી લીધું હતું.
30 લાખનું સોનું પડાવી લેવાના ગંભીર આક્ષેપને પગલે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ અઠવાડિયા પહેલા કિશન આહીર અને ભગીરથસિંહ ઝાલાને સસ્પેન્ડ કરી દીધા હતા. દરમિયાન હેડ કોન્સ્ટેબલ કિશન આહીરની નર્મદા જિલ્લામાં તેમજ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલાની પંચમહાલ જિલ્લામાં બદલી કરી દેવાઇ છે.