નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE)એ શૈક્ષણિક વર્ષ 2025-26થી ચાર વર્ષનો ઈન્ટિગ્રેટેડ બી.એડ કોર્સને બંધ કરવાનો નિર્ણય લીધા બાદ નવા ઈન્ટિગ્રેટેડ ટીચર્સ એજ્યુકેશન પ્રોગ્રામ (ITEP) અમલી કરવાની તૈયારી કરી લીધી છે જેના માટે બી.એડ કોલેજો પાસેથી મંજૂરી માટે અરજીઓ મગાવવામાં આવી હતી. જેમાં એનસીટીઈના માપદંડો અને નિયમો પૂર્ણ નહીં કરનારી દેશની 334 જેટલી બી.એડ. કોલેજની મંજૂરી માટેની અરજી રિજેક્ટ કરી દેવામાં આવી છે જેમાં સૌથી વધુ રાજસ્થાન રાજ્યની કોલેજો હોવાનું સામે આવ્યું છે. જોકે રિજેક્ટ થનારી બી.એડ. કોલેજોમાં ગુજરાતની બેથી ત્રણ કોલેજોનો પણ સમાવેશ થાય છે.
એનસીટીઈ દ્વારા દેશભરની જે કોલેજોની અરજી રિજેક્ટ કરી છે તેમાં મોટાભાગની કોલેજો નેક એક્રેડિટેડ ન હતી. NIRF રેન્કિંગ પણ કરાવ્યું ન હતું. આવા બીજા અનેક માપદંડ રાખવામાં આવ્યા હતા જેમાં દેશના જુદા જુદા રાજ્યોની 334 જેટલી કોલેજ આ જોગવાઈ અને નિયમો પરિપૂર્ણ નહીં કરી શકતા તેની અરજી નકારવામાં આવી છે. ગુજરાતની જે બી.એડ. કોલેજની અરજી રિજેક્ટ કરવામાં આવી છે તેમાં પ્રાંતિજ-સાબરકાંઠા/હિંમતનગરની એક્સપેરિમેન્ટલ કોલેજ ઓફ બીએ બી.એડ તેમજ ગાંધીનગરની સમર્પણ કોલેજ ઓફ એજ્યુકેશનનો સમાવેશ થાય છે.