રાજકોટના કાલાવડ રોડ પર આતંક મચાવનાર સાધુ યોગી ધર્મનાથના આશ્રમને તોડી પાડવામાં આવ્યો છે. પોલીસ તેમજ કલેક્ટર તંત્રની તપાસ બાદ આશ્રમના ગેરકાયદે બાંધકામ અંગે જિલ્લા કલેક્ટરની સૂચનાથી લોધિકા મામલતદારે 3 વખત નોટિસ ફટકારી હતી. જેનો જવાબ ન આપતા આખરે તંત્ર દ્વારા આશ્રમ ખાતે ડિમોલિશન કરી તેને તોડી પાડવામાં આવ્યો છે. આ આશ્રમમાં ગાંજાનું વાવેતર મળી આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સાધુએ વાગુદડ સરવે નંબર 32 પર 3000 ચોરસ મીટર (એક એકર) જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ છેલ્લાં 3 વર્ષથી ખડકી દીધું હોવાનું સામે આવ્યું હતું. જેમાં આશ્રમમાં કુલ 3 ઓરડી અને ફેન્સિંગ કર્યું હતું. જેને લઈ મહેસૂલી કલમ 202 મુજબ 3 વખત નોટિસ આપવામાં આવી હતી. જેનો સાધુએ જવાબ નહીં આપતા ગેરકાયદેસર બાંધકામ દૂર કરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવવામાં આવ્યું છે.