શ્રીજી ગૌશાળાના પ્રભુદાસભાઈ તન્નાએ જણાવ્યું હતું કે, ગાય માતાના શરીરમાં સૂર્યકેતુ નામની નાડી છે. આ સૂર્યકેતુ નાડી જ્યારે સૂર્યોદય થાય ત્યારે એકદમ પ્રભાવિત થઇને વાતાવરણના 24 તત્ત્વો ગાય પોતાના શરીરમાં ખેંચે છે અને ગોબર, ગૌમૂત્ર અને દૂધ દ્વારા આપણને આપે છે. ગાય માતાનો જ્યાં વાસ હોય, ગૌમાતાને સ્પર્શ કરીને આપણે ઊભા હોઈએ ત્યારે આ 24 તત્ત્વો આપણને આપે છે.
શ્રીજી ગૌશાળા પંચગવ્ય પદ્ધતિથી 27 વર્ષમાં 7.50 લાખ કરતા વધુ દર્દીઓની સારવાર કરી ચૂકી છે. જેમાં કેન્સર, કિડની ફેલ, હાર્ટફેઇલ, માઈગ્રેન, સ્ત્રીરોગ જેવા 148 જેટલા હઠિલા રોગ સામે પંચગવ્ય પદ્ધતિથી સારા પરિણામો મળ્યા છે. બાળકો અહીંથી એટલી શીખ લઈને જજો કે ઘેર જઈને જ્યારે સમય મળે ત્યારે મમ્મી-પપ્પા, દાદા-દાદીને સાથે લઈને ઘર પાસેની કોઇપણ ગૌશાળામાં જજો.
જ્યાં ગાયોનું સાંનિધ્ય હોય, જ્યાં ગાયોની સેવા થતી હોય ત્યાં ક્યારેય વાસ્તુદોષ લાગતો નથી, ત્યાં કોઈ ચોઘડિયા જોવાની જરૂર રહેતી નથી. આપણા વડવાઓએ કહ્યું હતું કે, ઘર આંગણે ગાય બાંધવી પરંતુ આજે લોકો ફ્લેટમાં રહેતા થયા છે ત્યારે આ શક્ય નથી. આથી બાળકોએ પરિવાર સાથે નજીકની ગૌશાળાની મુલાકાત અવશ્ય લેવી જોઈએ.