શહેરના જમીન મકાનના ધંધાર્થીને સ્વામિનારાયણ મંદિર માટે જમીન લેવાની વાત કરી રૂ.3 કરોડની છેતરપિંડી આચરવાના મામલામાં સીઆઇડી ક્રાઇમની ટીમે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જે.કે. સ્વામીની ધરપકડ કરી તેને દશ દિવસના રિમાન્ડ પર લીધા હતા. સ્વામીની ધરપકડ સાથે આ ગુનામાં ધરપકડનો આંક ચાર થયો હતો. અન્ય આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી હતી.
રાજકોટના નવલનગરમાં રહેતા જમીન-મકાનના ધંધાર્થી જસ્મીનભાઇ બાલશંકરભાઇ માઢકે (ઉ.વ.45) નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ વિજયપ્રકાશ ઉર્ફે વી.પી. સ્વામી, જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે.કે.સ્વામી, માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી.સ્વામી, દેવપ્રકાશ સ્વામી ઉર્ફે ડી.પી.સ્વામી તથા લાલજી, સુરેશ, ભૂપેન્દ્ર અને વિજયસિંહના નામ આપ્યા હતા. જસ્મીનભાઇ માઢકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલાં ઓટોબ્રોકર સુરેશ તુલસી ધોરી સાથે મુલાકાત થઇ હતી ત્યારબાદ 16 જાન્યુઆરી 2024ના સુરેશ એક શખ્સ સાથે જસ્મીનને મળવા આવ્યો હતો અને સાથે આવેલા શખ્સની ઓળખ લાલજી ઢોલા તરીકે કરાવી હતી. લાલજી વડતાલ મંદિરનો ખજાનચી છે. દહેગામ પાસે ઉપરોક્ત ચાર સ્વામી 510 વીઘા જમીન પર મંદિર બનાવવા ઇચ્છે છે, અને જમીન ખરીદવાની છે. જમીન ખરીદીમાં રોકાણ કરવામાં આવે તો મોટો નફો મળશે તેવી વાત કરી હતી.