રાજકોટ મનપાની ટીપી શાખાએ આજે સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં. 13માં ગોંડલ રોડ બ્રિજ પાછળના ભાગે આવેલ રેલલાઇન સમાંતર 12 મીટરના રોડ પર ખડકાયેલા 22 કાચા મકાન, બે નાના મંદિર, 20 કારખાનાના શેડ સહિત 46 ગેરકાયદે બાંધકામનું ડિમોલીશન કર્યુ હતું. અને સવા કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. અશોક ગાર્ડનથી બ્રીજ તરફના રસ્તે આ વર્ષો જુની રેલલાઇન પસાર થાય છે. જેની સમાંતર જતા 12 મીટરના રસ્તા પર 150 રનીંગ મીટર લંબાઇમાં આ દબાણો ખડકાયેલા હતા. જે રોડ ખુલ્લો કરાવવા સૂચના અપાતા આજે ટીપી શાખાએ વિજીલન્સ સુરક્ષા બંદોબસ્ત સાથે 22 નાના મકાનો અને 20 કારખાનાના શેડ પર બુલડોઝર ફેરવી દીધુ હતું. આ રસ્તા પર બે નાના મંદિર પણ હતા તે પણ આજે ઓપરેશનમાં દુર કરવામાં આવ્યા છે. સાથે પાન -મસાલાની કેબીન અને એક ઢોરવાડો પણ દબાણગ્રસ્ત હોવાથી તેનું ડિમોલીશન કરી નાંખવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દ્વારા રૂા. સવા કરોડની અઢી હજાર ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.