રાજકોટના સાધુવાસવાણી રોડ પર આવાસ હેતુના પ્લોટમાં વધારાની જગ્યા બતાવીને વાણિજ્ય હેતુની જગ્યા ફાળવી દીધાનું કૌભાંડ સામે આવ્યું હતું. રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમેલશ મીરાણીએ 47 ચો.મી. જગ્યામાં ગેરકાયદેસર રીતે ફેબ્રિકેશન સાથેની સીડી અને શૌચાલય ખડકી દીધું હતું. જોકે, આ ગેરકાયદેસર બાંધકામ ધ્યાને આવતા મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. દરમિયાન મહાનગરપાલિકા આ જગ્યા પર બુલડોઝર ફેરવે તે પહેલાં જ શહેર ભાજપના પૂર્વ પ્રમુખે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાનો આદેશ આપવામાં આવતા જ આજે મજુરો દ્વારા બાંધકામ દૂર કરાયું હતું.
ભાજપના હોદ્દેદારોની આ બાંધકામની મંજૂરીમાં શંકાસ્પદ ભૂમિકા બાંધકામના દસ્તાવેજ કરવા માટે હિતેશ ડાંગર અને અભિજિતસિંહ ઉર્ફે કુલદીપસિંહ જાડેજાને રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને વર્તમાન ધારાસભ્ય ઉદય કાનગડ, પૂર્વ મેયર બિનાબેન આચાર્ય તેમજ પૂર્વ મેયર પ્રદીપ ડવ સહિતના ભાજપના હોદ્દેદારોની આ બાંધકામની મંજૂરીમાં શંકાસ્પદ ભૂમિકા હોવાનું જાણવા મળી રહ્યું છે.