પડધરીના ખંઢેરી ગામમાં રહેતાં રાયબાઈબેન કાનાભાઇ સોનારા (ઉ.વ.70) અને તેમની પુત્રી મીરાબેન યાજ્ઞીકભાઈ જાટીયા (ઉ.વ.27) તેઓ બંને રાજકોટ દવા લેવાં આવતાં હોય ત્યારે ખંઢેરી ગામની તેમની વાડી પાસે બંને વાહનની રાહ જોઈ બેઠાં હતાં તેવામાં રાયબાઈબેનનો નાનો પુત્ર વિક્રમ અને અજાણ્યા શખ્સો ત્યાં આવી જઈ પોતાની માતા અને બહેનને ધોકા અને પાઈપ વડે માર મારી નાસી ગયા હતા. બાદ માતા- પુત્રીને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર હેઠળ છે.બનાવ અંગે વધુમાં જાણવા મળ્યું હતું કે રાયબાઈબેનના પતિ અવસાન પામ્યા છે. તેમને ખંઢેરી ગામમાં જમીન આવેલ છે. જે જમીન લઈને પરિવારમાં અણબનાવ હોય અને જમીનનો કેસ શરૂ છે. જે બાબતે ખાર રાખી પુત્ર વિક્રમે તેની માતા અને બહેન પર ધોકા વડે હુમલો કર્યો હતો. રાયબાઈબેનને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્ર છે. જેમાંથી વિક્રમ કાનાભાઈ સોનારા નાનો પુત્ર હોવાનું તેઓના પરિવારજનોએ જણાવ્યું હતું.