રાજકોટના ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા મયુર મોહન માલા (ઉ.વ.27)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ભરત ઉર્ફે લાલો વલ્લભ કુંભારવાડીયાનું નામ આપતા તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે કંટ્રકશનનું કામ કરે છે અને તેની પાસે જીજે.03.એમબી.4275 નંબરની ઠાર કાર છે. ગઈ તા.15.08.2024ના તેમનો મિત્ર ભરત ઉર્ફે લાલો તેમના મહિલા મિત્ર અંકીતા પટેલ સાથે તેમના ઘરે આવેલ હતો અને પોતાના ભગુડા જવાનું છે તેમ કહી તેમની થાર ગાડી માંગેલ હતી અને એક જ દિવસમાં પરત આવી ગાડી પરત આપી દેશે તેમ જણાવ્યું હતું. ભરત તેમનો મિત્ર હોય જેથી થાર ગાડી તેમને આપી હતી. ત્યારબાદથી ભરતના બંને મોબાઈલ નંબર બંધ આવતા હોય અને રાત થઈ ગયેલ હોય, જેથી તેઓ ભરતના ઘરે ગયેલ ત્યાં હાજર તેમના નાના ભાઈ કિશને જણાવેલ કે, ભરત હજુ ઘરે આવેલ નથી. જેથી તેની મિત્ર અંકીતાના નંબર પર ફોન કરી ભરત વિશે પૂછતા જણાવેલ કે, ભરત સુરત આવેલ છે. બાદમાં બીજા દિવસે પણ તેમનો કોઈ સંપર્ક ન થતા સુરત જઈ તપાસ કરવા ગયેલ પરંતુ, તે કયાંય મળેલ નથી અને તેમની મહિલા મિત્રનો પણ સંપર્ક થયો ન હતો. આ દરમિયાન ભરત સાથે વોટસએપ કોલમાં વાત થતા જણાવેલ કે, તેમની કાર વેંચી દીધેલ છે. જેથી તેમને ગાડીની ઓરિજિનલ આરસી બુક તેમની પાસે છે કાર કેમ વેચી શકે? તેમ પૂછતા તેને જણાવેલ કે, ગાડીને વેંચી દીધેલ છે તે પરત આવશે નહીં. જેથી, રૂ.17 લાખની થાર કાર વેંચી નાખી આરોપીએ વિશ્વાસઘાત કરતા ફરીયાદ નોંધાવી હતી. આ બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.