શહેરમાં ડેન્ગ્યુના 29 કેસ, સૌથી વધુ હાઇરાઇઝ બિલ્ડિંગમાં રોગનો પ્રસાર

મચ્છરજન્ય રોગચાળો બેફામ બન્યો છે. એક સપ્તાહમાં 29 કેસ સામે આવ્યા છે જે વર્ષનો સૌથી વધુ આંક છે. આ તમામ કેસ તો આરટીપીસીઆર રિપોર્ટના નોંધાયેલા છે આ સિવાય રેપિડ કાર્ડ પોઝિટિવ હોય અને સારવાર કરાતી હોય તેનો આંક સપ્તાહના 300ને પાર છે.

રાજકોટ શહેરમાં જ્યાં પણ ડેન્ગ્યુના કેસ નીકળ્યા છે તેમાં સૌથી મોખરે હાઈરાઈઝ બિલ્ડિંગ છે અને બીજા ક્રમે કન્સ્ટ્રક્શન સાઈટ છે. હાઈરાઈઝ બિલ્ડિંગમાં લોકો પોતાના ઘરમાં અને બાલ્કનીમાં પાણીના કુંડા, ફૂલના કુંડા સહિતની વસ્તુઓ રાખે છે તેમજ એસીના આઉટડોર યુનિટ પણ બાલ્કનીમાં હોય છે. આ બધી જગ્યાએ ચોખ્ખું પાણી એકઠું થતું હોય છે. તેમજ ત્યાં જાગૃતિના અભાવે લોકો સફાઈ કરતા નથી. જેને લઈને એડિસ ઈજિપ્તી એટલે કે ડેન્ગ્યુ ફેલાવતા મચ્છર તેમાં ઈંડાં મૂકે છે અને એક જ સપ્તાહમાં આ મચ્છર પુખ્ત બનીને આસપાસના વિસ્તારોમાં પહોંચે છે અને ત્યાં ફરી ઈંડાં મૂકે છે અને આ રીતે ચારેબાજુ ફેલાય છે અને બાદમાં કરડીને ડેન્ગ્યુ સહિતના રોગચાળાનો ફેલાવો કરી રહ્યા છે. આ કારણે રોગચાળો કાબૂમાં લાવવો મુશ્કેલ બની રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *