ચોટીલાના થાન રોડ પર સૂરજદેવળ મંદિર પાસે અચાનક કૂતરું આડું ઉતરતા બાઇક સ્લિપ થતા પિતા-પુત્રને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા પાંચ વર્ષના બાળકનું મોત નીપજતા તેના પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. બનાવને પગલે પોલીસે તપાસ કરતાં પાંચ વર્ષના બાળકને લઇને પિતા મેળામાં ગયા હતા. તે દરમિયાન પરત ઘેર જતા હતા ત્યારે આ બનાવ બન્યો હોવાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.
ચોટીલામાં થાન રોડ પર ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા અને છૂટક ફોટોગ્રાફીનો ધંધો કરતા સુરેશભાઇ પરમાર તેના પાંચ વર્ષના પુત્ર કૃપાલને બેસાડી બાઇક લઇને તરણેતરના મેળામાં ગયા હતા. ત્યાર બાદ પરત ફરતી વેળાએ ચોટીલા નજીક સૂરજદેવળ મંદિર નજીક અચાનક કૂતરું આડું ઉતરતા બાઇક સ્લિપ થતા પિતા-પુત્ર ફંગોળાઇ જતા તેને ઇજા થઇ હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલા બાળકને વધુ સારવાર માટે રાજકોટની સિવિલમાં ખસેડાયો હતો, પરંતુ સારવાર દરમિયાન કૃપાલનું મોત નીપજતા તેના પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવને પગલે હોસ્પિટલ ચોકીના જમાદાર રામશીભાઇ સહિતે ચોટીલા પોલીસને જાણ કરી પરિવારજનોએ મૃતક બાળકનું ચક્ષુદાન કરી સ્તુત્યકાર્ય કર્યું હતું.