રાજકોટ સિવિલની બેદરકારી

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હૃદયરોગનાં દર્દીઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે કૅથલેબનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જોકે, હાલમાં આ કેથલેબમાં એન્જીયોગ્રાફીનું મશીન બંધ હાલતમાં છે. જેને લઈને અહીંયા સારવાર લેવા માટે આવતા દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે તેમજ દર્દીઓ મસમોટા રૂપિયા ખર્ચીને ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બન્યા છે. જોકે, બે-ત્રણ દિવસમાં મશીન પૂર્વવત થવાની ખાતરી સિવિલ અધિક્ષકે આપી હતી.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના બાદ હાર્ટએટેકનાં કેસોમાં વધારો થયો હતો. આ પૈકીના મોટાભાગના દર્દીઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા હોવાથી રાજકોટ સિવિલમાં હાર્ટને લગતી સારવારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તેમજ ખાસ કૅથલેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે શરૂ કરવામાં આવી હતી. જોકે, છેલ્લા કેટલાક દિવસથી કૅથલેબમાં એન્જીયોગ્રાફી મશીન બંધ હાલતમાં છે. જેના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સામાન્ય રીતે જ્યારે હાર્ટ એટેક આવે ત્યારે પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે. જેમાં મેડિસિન અને ડોક્ટરની ટીમ કાર્યરત છે તેમજ કર્ડિયાટ આઈસીયુ પણ શરૂ છે. આ સિવાય કેથલેબમાં જે-તે સમયે બે વસ્તુ શરૂ કરી હતી. જેમાં એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી આ ટ્રીટમેન્ટ હાર્ટ એટેક આવ્યા બાદ કરવાની હોય છે. ત્યારે એન્જીયોગ્રાફી મશીન બંધ હોવાથી દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જવાની ફરજ પડી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *