રાજકોટ શહેરમાં તસ્કરોનો તરખાટ યથાવત જોવા મળી રહ્યો છે. તસ્કરોમાં જાણે પોલીસની કોઈ બીક જ ન રહી હોય તેમ એક બાદ એક ચોરીને અંજામ આપી લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી નાસી છુટે છે ત્યારે 3 દિવસ પૂર્વે રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમા NRIના બંગ્લોમાં થયેલ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી 3 શખસોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના રોકડ રકમ તેમજ વિદેશ કરન્સી સહિત કુલ 7.55 લાખનો મુદામાલ કબ્જે કરી બાકીનો મુદામાલ રિકવર કરવા વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેરના પંચાયત ચોક પાસે આવેલ સિંહાર સ્કૂલની બાજુમાં શેરી નં.2માં રહેતા કમલેશભાઈ ખોડીંદાસભાઈ મહેતા (ઉ.વ.65)એ પોલીસને જણાવ્યું હતું કે, તેઓ તેમના પત્નિ જાગૃતિબેન સાથે રહે છે તેમજ તેમના પરિવારના અન્ય સભ્યો મસ્કત રહે છે. 15 દિવસ અગાઉ તેઓ દંપતી વલસાડ એક ધાર્મિક કામ અર્થે ગયેલ હતા ત્યારે તેમના પડોશીએ ફોન કરી જણાવ્યું હતું કે, તેમના ઘરે આવતા સફાઈકર્મીએ તમારા મકાનની બારી તૂટેલ હોય અને અંદર કોઈ શખ્સોએ પ્રવેશ કરી ચોરી કરી હોવાનું જાણવા મળેલ છે. જેથી તેઓ તાત્કાલિક પોતાના ઘરે આવીને ઘરમાં તપાસ કરતા બારી તોડી અજાણ્યા શખ્સો મકાનમાં પ્રવેશી રૂમમાં રહેલ લોકર જેમાં રોકડ રૂ.50 હજારથી વધુ અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.9 લાખ ભરેલ હતા તે લોકરની ચોરી કરી તસ્કરો નાસી છુટયા હતા.