વિસરાતી જતી પ્રાચીન કલા ફરી જીવંત થાય, બહેનો પગભર બને અને આજના સમય મુજબનું તેને જ્ઞાન મળી રહે તે માટે વી કેન ગ્રૂપ દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. જે માટે સ્કિલ સેન્ટર શરૂ કરાયું છે. સ્કિલ સેન્ટરમાં બહેનોને માચીવર્ક, મોબાઇલ રિપેરિંગ, ડિજિટલ માર્કેટનો ઉપયોગ વગેરેની તાલીમ આપવામાં આવશે. આ તાલીમ કેન્દ્ર આગામી સપ્તાહથી શરૂ થશે. તેમજ બહેનોને આવડત મુજબનું કામ પણ અપાશે. તેમ વી કેન ગ્રૂપના સંચાલક પીનલબેન કોટકે જણાવ્યું છે.
એક જ સ્થળે તમામ પ્રકારની તાલીમ આપવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે, અનેક બહેનો છે કે જે પરિવારની સાર-સંભાળ રાખતા રાખતા પગભર થવા માગતાં હોય છે, પરંતુ તેઓ બહાર નીકળી શકતા નથી. આથી, તાલીમ લીધા બાદ તેઓ ઘરે બેઠા પણ આવક મેળવી શકશે. જ્યારે આજના સમય એ.આઈ.નો યુગ છે. તેનો ઉપયોગ પણ જરૂરી છે. તેથી સમય મુજબ મહિલાઓને જ્ઞાન મળે એ પણ એટલું જ જરૂરી છે. દરેક બહેનોને તાલીમ આપવા માટે રાજકોટ અને રાજ્યભરમાંથી નિષ્ણાત લોકોને બોલાવાવમાં આવશે.