રાજકોટના રૈયા રોડ પર સર્વે નંબર 156 પૈકીની યુએલસી ફાજલની રૂ.166 કરોડની 23837 ચોરસ મીટર સરકારી જમીન પ્રકરણમાં પશ્ચિમ મામલતદાર તંત્ર શંકાસ્પદ રીતે ઢીલી ગતિથી કામગીરી કરી રહ્યાની હકીકત પ્રકાશમાં આવી છે અને માત્ર 17 જેટલા દબાણકારોને નોટિસ ફટકારી છે.
પશ્ચિમ મામલતદાર તંત્રમાંથી જાણવા મળ્યા મુજબ, રૈયા સર્વે નંબર 156 પૈકીની જમીનમાં દબાણ મુદ્દે શુક્રવારે તમામ તલાટીઓને સર્વે કરી દબાણકારોને નોટિસ ફટકારવા આદેશ કરાયો હતો તેના પગલે પાંચ તલાટીઓ સમગ્ર વિસ્તારમાં ફરી વળ્યા હતા અને 17 જેટલા દબાણકારોને નોટિસ આપી જમીન માલિકીના આધાર પુરાવા હોય તો રજૂ કરવા તાકીદ કરી હતી. આ જમીન વેચી નાખવામાં ભાજપના મોટાં માથાંઓની સંડોવણી હોવાની ચર્ચા હોય તલાટીઓએ પણ સ્થળ પર રહેતા લોકોને નોટિસ ફટકારી છે અને વધુ તપાસ કરવાનું માંડી વાળ્યું છે.