રાજ્ય સરકાર દ્વારા મૂંગા પશુઓ જેવા કે ગાય વર્ગ અને ભેંસ વર્ગને સાચવતી પાંજરાપોળ, ગૌશાળા જેવી સંસ્થાઓને છેલ્લા થોડા સમયથી એક પશુ દીઠ દૈનિક રૂ.30ની સહાય આપવાનું શરૂ કરાયું છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં 2023-24માં કુલ 122 જેટલી સંસ્થાને 31963 પશુ માટે રૂ.33.84 કરોડની આર્થિક સહાય ચૂકવવામાં આવ્યાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે.
રાજકોટ જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગના ડો.કટારાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની યોજના મુજબ દર 3 મહિને સંસ્થાઓને સહાય ચૂકવવામાં આવે છે. જેના માટે રાજકોટ જિલ્લા પંચાયતમાં સંસ્થાઓે સહાય માટેની અરજી કરવાની હોય છે.
આ અરજીની દરેક જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા તૈયાર કરાયેલી તાલુકા કક્ષાની કમિટી દ્વારા ચકાસણી કરવામાં આવે છે અને આ કમિટી સ્થળ તપાસ સહિતની ચકાસણી કરી અરજીની ભલામણ જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગને કરે તેનો રિપોર્ટ રાજ્ય સરકારને ભલામણ સાથે કરવામાં આવે છે અને ત્યારબાદ સીધી સંસ્થાના ખાતામાં સહાયની રકમ જમા કરાવવામાં આવે છે.